મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું તો આપી દીધું.પરંતુ રાજીનામું કેમ લેવાયું.? તેની પાછળ એન્ટી ઈનકમબન્સી અને સંગઠન સાથેના મતભેદો સહિતના પાંચ મુખ્ય કારણો
રૂપાણીના રાજીનામાં પાછળનાં કારણો
ગજગ્રાહ નડ્યો કે બીજી લહેરની વિફળતા ?
નવા CMથી બદલશે ચૂંટણી સમીકરણ ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું તો આપી દીધું. પરંતુ રાજીનામું કેમ લેવાયું.? તેની પાછળ એન્ટી ઈનકમબન્સી અને સંગઠન સાથેના મતભેદો સહિતના આ 5 મુખ્ય કારણો છે.. અને આ કારણોમાં 2017ની ચૂંટણી પણ શામેલ છે.ત્યારે આવો જરા રાજીનામા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા તે પાંચ કારણો પર પણ નજર કરીએ.જેમાં સંગઠનમાં મતભેદો સાથે..સાથે વોટબેંકની રાજનીતિ સામેલ છે.
મુખ્યમંત્રીના રાજીનામા પાછળ પહેલું કારણ
જનઆશિર્વાદ યાત્રા દમિયાન જનતાની નારાજગી
પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં જ જનઆશિર્વાદ યાત્રા માટે કેન્દ્રિય મંત્રીઓને મોકલ્યા હતા.દરમિયાન જનતાની નારાજગી યાત્રા દરમિયાન સામે આવી હતી.આ સાથે સરકારની કામગીરીનો પણ સર્વે હતો.જેમા ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું અને આગામી ચૂંટણીમાં ભાજપને એન્ટી ઈનકમબન્સી નડી શકે છે તેવું તારણ સામે આવ્યું હતું..
2017ની ચૂંટણીમાં મળેલી માત્ર 99 બેઠકો
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી વિજય રૂપાણીના નેતુત્વમાં લડવામાં આવી હતી. જેમા ભાજપને સૌથી ઓછી માત્ર 99 બેઠકો મળી હતી. જેના કારણે ભાજપને 5 વર્ષ સુધી પાતળી બહુમતીની સરકાર ચલાવી પડી હતી. ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓએ આગામી 2022ની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ બનાવ્યો છે.. પરંતુ ફરી એકવાર વિજય રૂપાણીમા નેતુત્વમાં ચૂંટણી લડવી ભાજપ માટે જોખમી હતી. અને આ કારણે પણ રાજીનામું સ્વિકારાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે..
કોરોનાની બીજી લહેરમાં કામગીરી નિષ્ફળ
કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો તેમજ વિરોધ ઉભા થયા હતા. ખાસ કરીને કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પ્રજા નિરાધાર બની આમ-તેમ ભટકી રહી હતી. હોસ્પિટલો આગળ એમ્બ્યુલન્સો કલાકો સુધી દર્દીને લઈને ઉભી રહેતી હતી.. દર્દીને દાખલ કરવા માટે હજારો પરિવારો રઝળી રહ્યા હતા.. આવા સમયે સરકાર વ્યવસ્થાઓ ઉભી કરવામાં નિષ્ફળ ગઈ હતી. પરિણામે, જનતામાં ભારે રોષ ફેલાયો હતો, જેથી ભાજપ સામેનો વિરોધ વધી ગયો છે.
રૂપાણી -.પાટીલ વચ્ચે વિખવાદ
, ગુજરાત ભાજપના પ્રમુખ પદે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના મનાતા સીઆર પાટીલની નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ પદે આવ્યા બાદ સીઆરએ શરૂ કરેલી કવાયદમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. પરિણામે મુખ્યમંત્રી સાથે સંકલન કરવા પાટીલ અને સંગઠનના નેતાઓ સતત પ્રયત્નો કર્યા હતા. પરંતુ પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો. પરિણામે ગુજરાત ભાજપના પ્રમુખ અને શાહ-મોદીના ખાસ પાટીલ સાથેના અણબનાવોના કારણે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે..
ચૂંટણી પૂર્વે જ્ઞાતિ આધારિત ગરમાતી વોટબેંકની રાજનીતિ
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં જ્ઞાતિ આધારિત રાજનીતિ ગરમાઈ રહી છે.જેમાં પાટીદારો કહે છે અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ. જ્યારે ઠાકોરો કહે છે અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ... તો કોળી સમાજ કહે છે મુખ્યમંત્રી અમારા હોવા જોઈએ. આમ રાજ્યમાં જે જ્ઞાતિઓની વોટબેંક વધુ છે તેઓ પોત-પોતાના મુખ્યમંત્રી હોય તેવી માગણીઓ કરી રહ્યા છે.. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વણીક સમાજમાંથી આવે છે.. અને આ સમાજની વોટબેંક ગુજરાતમાં ગણી-ગાઠી જ છે.. તેવામાં આગામી ચૂંટણીમાં જ્ઞાતિ આધારીત વોટબેંકની રાજનીતિ થાય તો ભાજપને ફટકો પડવાનો ડર છે.
આમ આ કારણો સિવાય પણ નાના-નાના અનેક કારણો છે જે ભાજપ માટે આગામી ચૂંટણીમાં મોટો પડકાર બની શકે તેમ હતા.. તેવામાં વિજય રૂપાણીના ચહેરા સાથે 2022ની વિધાનસભા ચૂંટણી જીતવી ભાજપ માટે એક મોટો પડકાર હતો.. અને આ તમામ કારણોને લઈને ચૂંટણીના એક વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. પરંતુ હવે મુખ્યમંત્રી કોણ તે સૌથી મોટો સવાલ છે..