2014માં શરુ કરવામાં આવેલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યાં સરકારે 8 વર્ષમાં 2.2 લાખ કરોડની બચતી કરી છે તેવું સરકારી ડેટા પરથી જણાયું છે.
કેન્દ્ર સરકારે ખર્ચના આંકડા કર્યાં જાહેર
2021-22માં DBTમાં 7.83 અબજ ટ્રાન્ઝેક્શન
2020-21માં 603 કરોડ ટ્રાન્ઝેક્શન
DBT સાથે આધાર જોડવાથી સરકારને મળ્યો મોટો ફાયદો
2014થી 2022 સુધી સરકારને થઈ 2.2 લાખ કરોડની બચત
એકલા 2021-22માં થઈ 45,000 કરોડની બચત
કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો પરથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 2014માં શરુ કરવામાં આવેલી ડાયરેક્ટ બેનિફિટ યોજના (ડીબીટી) દ્વારા સરકારને 2014થી 2022 સુધી 2.2 લાખ કરોડની બચત થઈ છે.
ડીબીટીમાં 7.83 અબજ ટ્રાન્ઝેક્શન
ડેટા અનુસાર, સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા 783 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જે 2020-21 માં 603 કરોડ ટ્રાન્ઝેક્શન હતા. એટલું જ નહીં કોરોના પહેલાના વર્ષ (2019-20)માં આ સંખ્યા માત્ર 438 કરોડ હતી. આ રીતે જોવામાં આવે તો માત્ર બે વર્ષની અંદર જ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 79 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
આધારને ડીબીટી સાથે જોડવાનો લાભ
સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ડીબીટી સ્કીમને આધાર સાથે લિંક કર્યા બાદ પૈસાના ખોટા ખર્ચમાં ઘટાડો થયો છે. વર્ષ 2021-22માં જ આ પદ્ધતિથી 45,000 કરોડ રૂપિયાની બચત થઈ છે, જ્યારે 2014માં આ યોજના શરૂ થયા બાદથી 2.2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારનું કહેવું છે કે આનાથી ભ્રષ્ટાચારને રોકવાની સાથે વચેટિયાઓની ભૂમિકા પણ ખતમ થઈ ગઈ છે.
સબસિડી અને બીજી યોજનાઓ માટે 6.18 લાખ કરોડનો ખર્ચ
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ 2021-22માં સબસિડી અને રોકડ વધારાની યોજનાઓ દ્વારા કુલ 6.18 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જે વર્ષ 2020-21ની સરખામણીએ લગભગ 63 ટકા વધારે છે. સરકારે આ રકમ ખેડૂતો અને મજૂરોને રોકડ સહાય આપવા ઉપરાંત મફત રાશન સહિત અન્ય સુવિધાઓ પર ખર્ચ કરી છે.
2020-21માં 5.52 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો
વિવિધ મંત્રાલયો પાસેથી એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર સરકારે ગત નાણાકીય વર્ષમાં કુલ 6.18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે એક વર્ષ અગાઉ 2020-21માં 5.52 લાખ કરોડ રૂપિયા હતો. કોરોના પહેલાના સ્તરથી ગત વર્ષે બમણી રકમ ખર્ચાઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં સરકારે કલ્યાણકારી યોજનાઓ પર 3.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ગરીબોનું પેટ ભરવા શરુ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
કોવિડ -19 રોગચાળાની પ્રથમ લહેરમાં, સરકારે વિશ્વનું સૌથી મોટું લોકડાઉન લાદ્યું હતું, જેના કારણે કામ બંધ થઈ ગયું હતું અને લાખો લોકો બેરોજગાર થઈ ગયા હતા. તેમને ખવડાવવા માટે, સરકારે 2020 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી અને લગભગ 80 કરોડ લોકોને બે વર્ષ માટે મફત રાશનનો લાભ આપ્યો હતો. આ યોજનાએ અચાનક ડીબીટીનો વ્યાપ નોંધપાત્ર રીતે વધાર્યો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ 2021-22માં જ 342 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આનાથી લોકોને 2.17 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો.