કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે ગરીબો, ખેડૂતો અને જરુરિયાતમંદો પાછળ 6.18 લાખ કરોડનો ખર્ચ કર્યો હોવાનું સરકારી આંકડામાં જણાવાયું છે.
મહામારીમાં જરુરિયાતમંદો પર કરેલા ખર્ચના આંકડા સરકારે જાહેર કર્યાં
2021-22માં જરુરિયાતમંદો પર કર્યો 6.18 લાખ કરોડનો ખર્ચ
સૌથી વધારે રેશન પર થયો ખર્ચ, એક તૃતિયાંશ
2020-21માં 5.52 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો
માર્ચ 2020માં દેશભરમાં કોરોના મહામારીએ દસ્તક આપી હતી, લોકડાઉનમાં લોકોની કમાણી પણ બંધ થઈ ગઈ હતી. કરોડો દૈનિક વેતન મજૂરો અને જમીન વિહોણા ખેડૂતોને પેટ ભરવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કેન્દ્રની મોદી સરકારે સંકટમોચકની ભૂમિકા ભજવીને પોતાની તિજોરી લોકો માટે ખુલ્લી મૂકી હતી.
સબસિડી અને બીજી યોજનાઓ માટે 6.18 લાખ કરોડનો ખર્ચ
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ 2021-22માં સબસિડી અને રોકડ વધારાની યોજનાઓ દ્વારા કુલ 6.18 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જે વર્ષ 2020-21ની સરખામણીએ લગભગ 63 ટકા વધારે છે. સરકારે આ રકમ ખેડૂતો અને મજૂરોને રોકડ સહાય આપવા ઉપરાંત મફત રાશન સહિત અન્ય સુવિધાઓ પર ખર્ચ કરી છે.
2020-21માં 5.52 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો
વિવિધ મંત્રાલયો પાસેથી એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર સરકારે ગત નાણાકીય વર્ષમાં કુલ 6.18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે એક વર્ષ અગાઉ 2020-21માં 5.52 લાખ કરોડ રૂપિયા હતો. કોરોના પહેલાના સ્તરથી ગત વર્ષે બમણી રકમ ખર્ચાઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં સરકારે કલ્યાણકારી યોજનાઓ પર 3.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
ડીબીટીમાં 7.83 અબજ ટ્રાન્ઝેક્શન
ડેટા અનુસાર, સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા 783 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જે 2020-21 માં 603 કરોડ ટ્રાન્ઝેક્શન હતા. એટલું જ નહીં કોરોના પહેલાના વર્ષ (2019-20)માં આ સંખ્યા માત્ર 438 કરોડ હતી. આ રીતે જોવામાં આવે તો માત્ર બે વર્ષની અંદર જ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 79 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ગરીબોનું પેટ ભરવા શરુ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
કોવિડ -19 રોગચાળાની પ્રથમ લહેરમાં, સરકારે વિશ્વનું સૌથી મોટું લોકડાઉન લાદ્યું હતું, જેના કારણે કામ બંધ થઈ ગયું હતું અને લાખો લોકો બેરોજગાર થઈ ગયા હતા. તેમને ખવડાવવા માટે, સરકારે 2020 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી અને લગભગ 80 કરોડ લોકોને બે વર્ષ માટે મફત રાશનનો લાભ આપ્યો હતો. આ યોજનાએ અચાનક ડીબીટીનો વ્યાપ નોંધપાત્ર રીતે વધાર્યો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) હેઠળ 2021-22માં જ 342 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આનાથી લોકોને 2.17 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો.
આધારને ડીબીટી સાથે જોડવાનો લાભ
સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ડીબીટી સ્કીમને આધાર સાથે લિંક કર્યા બાદ પૈસાના ખોટા ખર્ચમાં ઘટાડો થયો છે. વર્ષ 2021-22માં જ આ પદ્ધતિથી 45,000 કરોડ રૂપિયાની બચત થઈ છે, જ્યારે 2014માં આ યોજના શરૂ થયા બાદથી 2.2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. સરકારનું કહેવું છે કે આનાથી ભ્રષ્ટાચારને રોકવાની સાથે વચેટિયાઓની ભૂમિકા પણ ખતમ થઈ ગઈ છે.