ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે અને દિનેશ કાર્તિક (DK) આ વાત ઘણી વાર સાબિત કરી ચૂક્યો છે. દિનેશ જ્યારે ચાલે છે ત્યારે એવું લાગે છે કે કોઈ ઉતાવળમાં હશે. તે હંમેશાં ઉતાવળમાં જ જોવા મળે છે જાણે કે તેની બસ છૂટી રહી હોય. લાગે છે પણ એવું જ... તેની બસ છૂટી જ ગઈ છે. એ બસ જે 2019ના વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ જવા તૈયાર છે. એ બસની બધી જ સીટ હાઉસફુલ થઈ ગયેલી નજરે પડી રહી છે જોકે આ બસનું એક સ્ટોપ હજુ બાકી છે.
એપ્રિલના અંતમાં જ્યારે IPL પોતાની ચરમસીમાએ હશે ત્યારે વર્લ્ડ કપ માટેની ફાઇનલ ટીમ પસંદ થશે. ત્યારની વાત ત્યારે કરીશું હાલ તો ઓસ્ટ્રેલિયા સામે પસંદ કરાયેલી વન ડે ટીમમાં દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું નથી. આ વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી સીરિઝ છે.
DKના નામથી લોકપ્રિય દિનેશ કાર્તિકને ટીમ ઇન્ડિયા છેલ્લા એક-દોઢ વર્ષથી ફિનિશરના રૂપમાં તૈયાર કરી રહી હતી. દિનેશ પણ એ ભૂમિકાને સારી રીતે નિભાવી રહ્યો હતો. એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે તેને વન ડે સીરિઝ માટેની ટીમમાંથી પડતો મુકાશે પરંતુ સિલેક્ટર્સે તેના સ્થાને ટીમમાં લોકેશ રાહુલને સમાવ્યો જે એક રિયાલિટી શોમાં મહિલાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કારણે ટીમની બહાર હતો. એમ પણ સિલેક્ટર્સે કાર્તિકને ટીમમાંથી બહાર કરવાનું કારણ જણાવ્યું નથી પરંતુ એ નક્કી છે કે હવે DKની વાપસી ત્યારે જ શક્ય બનશે જ્યારે ઋષભ પંત નિષ્ફળ જાય. આમ પણ જ્યારે વન ડે સીરિઝ ભારતનાં મેદાનોમાં રમાતી હોય ત્યારે એવી શક્યતાઓ બહુ જ ઓછી હોય કે બેટ્સમેન નિષ્ફળ જાય.
કુલ કસ્ટમર કહેવાતા DKની વાત કરીએ તો તામિલનાડુના આ ક્રિકેટરે દેશ માટે પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીથી પણ પહેલાં 2004માં રમી હતી. એક રીતે જોવા જઈએ તો DK વર્તમાન ટીમનો સૌથી સિનિયર ખેલાડી છે આમ છતાં તે કદાચ જ વર્લ્ડકપ રમવા ઈંગ્લેન્ડ જઈ શકશે. DK વર્લ્ડકપમાં રમે કે ના રમે બંને રીતે એ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જો તે વિશ્વકપમાં રમશે તો પહેલો એવો ખેલાડી હશે જે પોતાની વન ડે કરિયર શરૂ કર્યાનાં લગભગ 15 વર્ષ બાદ વિશ્વકપમાં એન્ટ્રી કરશે. જો તે વિશ્વકપમાં નહીં રમે તો પહેલો એવો ખેલાડી હશે જે આટલી લાંબી વન ડે કરિયર બાદ પણ વિશ્વકપમાં ના રમ્યો હોય.
જ્યારે DKની કરિયર અને તેના કિસ્સાઓ પર નજર કરીએ તો ઘણા દિલચસ્પ કિસ્સા અને આંકડા સામે આવે છે. આ ક્રિકેટર વર્ષ 2004માં ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરે છે. થોડીક જ મેચ રમે છે ને એમ. એસ. ધોનીની ભારતીય ટીમમાં એન્ટ્રી થાય છે ને કાર્તિક ટીમની બહાર થઈ જાય છે. આ કહાણી હજુ ખતમ નથી થઈ. તમામ નિરાશા-હતાશા છતાં તે પોતાની સફર ચાલુ રાખે છે. જ્યારે એવું કહેવામાં આવતું કે ધોનીની હાજરીના કારણે ઘણા વિકેટકીપરની કરિયર ખતમ થઈ ગઈ. એ સ્થિતિમાં પણ દિનેશ ઘણી વાર ટીમમાં પાછો ફર્યો અને અનેક રેકોર્ડ બનાવતો રહ્યો.
દિનેશ કાર્તિક દુનિયાનો એકમાત્ર એવો વિકેટકીપર છે જે કોઈ વિકેટકીપર (એમ. એસ. ધોની)ની કેપ્ટનશિપમાં 37 મેચ બેટ્સમેન તરીકે રમ્યો. એમ તો DK 91 વન ડે 26 ટેસ્ટ અને 30 T-20 મેચ રમી ચૂક્યો છે. તે 2007ના વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો હતો પરંતુ તેને મેદાનમાં ઊતરવાની તક મળી નહોતી. DK 12 વર્ષ પછી ફરી એક વાર વર્લ્ડ કપના દ્વાર ખટખટાવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વર્લ્ડકપમાં રમવાનું DKનું સપનું પૂરું થાય છે કે કેમ?