પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની પહેલા જ રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક પ્રહારો થઇ રહ્યા છે.
બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરી એક વખત મમતા સરકાર ઉપર આક્રમક રીતે હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે મમતા દીદીને જય શ્રી રામ શબ્દ બોલવાથી શું તકલીફ છે?
મમતા બેનર્જી માટે વાપર્યો અપશબ્દ
ત્યાર બાદતેમણે મમતા બેનર્જી માટે એક અત્યંત આપત્તિજનક અપશબ્દ વાપરીને કહ્યું કે તેઓ રામની ધરતી ઉપર આવો વ્યવહાર કેમ કરી રહી છે? તેમણે કહ્યું કે આખરે તેમના લોહીમાં એવું તો શું છે કે તે જય શ્રી રામ ન બોલી શકે? રામના દેશમાં જ આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે.
કલકત્તામાં ભાજપના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે અમે અમારા કાર્યકરોની મોતનો બદલો લઈશું.
દિલીપ ઘોષ સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે
નોંધનીય છે કે દિલીપ ઘોષ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જેની ઉપર વિવાદ થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે મમતા રાજમાં બંગાળમાં આતંકવાદી ગ્રુપ એક્ટિવ થઇ ગયા છે જે પશ્ચિમ બંગાળને વેસ્ટ બંગાળ બનાવે છે.
વિધાનસભા પહેલા ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ
બંગાળમાં આ પહેલા પણ જય શ્રી રામના મુદ્દે બબાલ થઇ ચુકી છે. 2019ના લોકસભાના ઈલેકશનમાં પણ ભાજપે આ નારા લગાવ્યા હતા ત્યારે પણ મમતા ખૂબ ગુસ્સે હતા. તેમનો આરોપ છે કે ભાજપે આ નારાબાજીને રાજનૈતિક સ્વરૂપ આપી દીધું છે.
મે 2021માં યોજાશે વિધાનસભા ઈલેક્શન
નોંધનીય છે કેપશ્ચિમ બંગાળમાં મે 2021માં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. બંગાળમાં ભાજપે 200થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે જેના કારણે પાર્ટી આક્રમક થઇને પ્રચાર કરી રહી છે. ઘણા કેન્દ્રીય મંત્રી અને નેતાઓ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે.