લાંભામાંથી કાળુ ભરવાડને ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. અને MLA લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને લાંભાથી કોંગ્રેસ ટિકિટ આપી છે.
અમદાવાદમાં કોંગ્રેસ માટે માઠા સમાચાર એ છે કે, લાંભા વોર્ડમાંથી કોંગ્રેસના આગેવાને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લાંભામાંથી કાળુ ભરવાડને ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો બીજી તરફ MLA લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને લાંભાથી કોંગ્રેસ ટિકિટ આપી છે. લાખા ભરવાડે પુત્રને ટિકિટ માટે જીદ કરી હતી.
જામનગરમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ
તો આ તરફ મતદાન પહેલા જ જામનગર મનપામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. વોર્ડ નં-9 કોંગ્રેસના ઉમેદવાર જ્યોત્સનાબેન સોલંકી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જ્યોત્સના સોલંકી મોડા આવતા ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે. જેથી જામનગર વોર્ડ નં-9 કોંગ્રેસમાંથી માત્ર 3 ઉમેદવાર રહેશે. કોંગ્રેસ 64 પૈકી 63 બેઠકો પર ચૂંટણી લડશે.
રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માગ
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો સામે ભાજપે વાંધો રજૂ કર્યો હતો. જેમાં વોર્ડ નં-1, 2 અને 3ના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવા માગણી કરી હતી. ક અને ખ ફોર્મમાં મેન્ડેટમાં અધિકૃત નામ અને સહી હોવી જોઇએ. પરંતુ કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપ્યા હતા. જેના કારણે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ભાવનગરમાં મહિલાઓનો વિરોધ
આ તરફ ભાવનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધનો વંટોળ થયો હતો. કોંગ્રેસ મહિલા કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસની સક્રિય મહિલા કાર્યકરની ટિકિટ કપાતા વિરોધ નોંધાવ્યો હતો. જેતુંનબેનને ટીકીટ ન મળતા મહિલાઓઓમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં ધાર્મિક માલવિયાએ ઉમેદવારી પરત ખેંચી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર રહ્યા છે. અલ્પેથ કથીરિયા-કોંગ્રેસ વચ્ચે ટિકિટ મુદ્દે પેંચ ફસાયો હતો. સુરતથી PAASના નેતા ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી લીધી છે. સુરત PAAS ટીમે 2 ટિકિટની માગણી કરી હતી. જે મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને અલ્પેશ કથિરીયા વચ્ચે વાકયુદ્ધ પણ છેડાયું હતું.