અમદાવાદમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ કપરી બની ગઈ છે, ત્યારે તંત્ર મૃતકોના આંકડા છુપાવવામાં વ્યસ્ત હોય તેમ દેખાઇ રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંકમાં મોટો તફાવત
સરકારી આંકડા અને શબવાહિનીના આંકડા અલગ
સ્મશાનમાં પણ 2 કલાક જેટલું વેઇટિંગ
સરકારી આંકડા અને સરકારી શબવાહિનીથી મળતા આંકડામાં વિસંગતતા
અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંકમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તંત્રના ચોપડે જે આંકડા નોંધાયા તે અને તંત્રની જ શબવાહિનીઓના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. અમદાવાદમાં એક તરફ કોરોના વાયરસના કારણે મોતનું તાંડવ છે, સ્મશાનોમાં મૃતદેહો લાઇનમાં લગાવવામાં આવી રહ્યા છે તંત્ર તો જાણે આંકડાનું સેટિંગ કરવામાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે.
છેલ્લા 7 દિવસમાં સરકારી ચોપડે કોરોનાથી 33 લોકોના મૃત્યુ
અમદાવાદમાં તંત્રના ચોપડે આંકડાઓને જોઈએ તો છેલ્લા સાત દિવસમાં 33 લોકોના મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે સરકારી શબવાહિનીમાં જ 45 કોરોના મૃતકોને લઈ જવામાં આવી રહ્યા છે. આ આંકડો તો માત્ર સરકારી શબવાહિનીનો જ છે, આ સિવાય ખાનગીમાં પણ ઘણી બધી શબવાહનીઓમાં મૃતદેહો લઈ જવામાં આવી રહ્યા છે.
સ્મશાનમાં અંતિમ સફર માટે લાંબુ વેઇટિંગ
કોરોના માટે અમદાવાદમાં સરકારી શબવાહિની માટે 2 કલાકનુ વેઇટિંગ છે અને સ્મશાનોમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સ્મશાનોમાં પણ બે કલાક વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો
અમદાવાદમાં સતત વધતાં કહેરના કારણે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે વધુ 35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી 318 વિસ્તાર માઈક્રોકન્ટેઇનમેન્ટમાં છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની સ્થિતિ બની કફોડી
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારમાં જેવા કે ગોતા,થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ વિસ્તારના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી રહી છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો જોવા મળી રહી છે.