ગાંધીનગરમાં કોરોનાથી જાહેર કરાતા મૃત્યુઆંક અને સ્મશાનમાં નોંધાતા આંકડામાં વિસંગતતા જોવા મળી છે. રાજ્યના પાટનગરમાં બપોરે 4 વાગ્યા સુધીમાં જ કોરોના વાયરસની ગાઈડલાઇન પ્રમાણે 20 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. જેમાં સેક્ટર-30માં સ્મશાનગૃહમાં 11 અને સરગાસણના સ્મશાનગૃહમાં 9 મૃતદેહની અંતિમવિધી કરાઇ છે. જોકે રાજ્યસરકાર તો આખા રાજ્યના આંકડામાં 20ની આસપાસ મૃત્યુ થઈ હોવાના આંકડા રજૂ કરે છે.
રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી ચોપડે એકપણ મૃત્યુ નહીં
રાજકોટમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે 53 લોકોના મૃત્યુના અહેવાલ છે. બાપુનગર સ્મશાનમાં એક જ દિવસમાં 18 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી છે. મોટામૌવા સ્મશાનમાં 12, મવડી સ્મશાનમાં 11, રામનાથપરા સ્મશાનમાં 9 જ્યારે કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી છે.
સુરત શહેરના મૃતદેહની ગ્રામ્ય વિસ્તારમાં અંતિમક્રિયા
સુરત શહેરના સ્મશાન ગૃહોમાં વેઇટિંગ હોવાથી ગામડાઓમાં અંતિમક્રિયા થઇ રહી છે. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીના મૃતદેહોના ઝડપી નિકાલ માટે નિર્ણય લેવાયો છે. બારડોલી ખાતે સ્મશાન ગૃહમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 6 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી છે. બારડોલીના એકતા ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી રહી છે. ગતરોજ શહેરના ત્રણ સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર થયા છે. કોવિડ પ્રોટોકોલ મુજબ 130 અંતિમ સંસ્કાર કરાયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 7થી 8 મૃતદેહની નોંધ લેવાઇ છે. અશ્નિની કુમાર સ્મશાન ગૃહમાં 70 જેટલા અંતિમ સંસ્કાર કરાયા છે. તો કૂરૂક્ષેત્ર સ્માશન ગૃહ ખાતે 60 મૃતદેહ લવાયા છે. શહેરમાં આંકડા છુપાવવાનો મોટો ખેલ ચાલી રહ્યો છે. રામનાથ ઘેલા સ્મશાન ખાતેના આંકડા સામે નથી આવી રહ્યા. શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે. જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમીમાં શબવાહીની લાઇન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 60થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
વડોદરાનો વેરી બનતો કોરોના
સ્મશાનમાં વડોદરાના આંકડા તો વધારે ચોંકાવનારા છે. વડોદરામાં અલગ અલગ સ્મશાનમાં કોવિડગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર માટેના આંકડામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એકલા ખાસવાડી સ્મશાનમાં રોજના 25થી વધુ મૃતદેહના કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાય છે. અન્ય પાંચ સ્મશાનમાં 15થી વધુ મૃતદેહ કોવિડ પ્રોટોકોલ મુજબ આવતા હોવાનો દાવો છે.
સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ
સુરતમાં કોરોના બેકાબૂ બનતા કોરોના દર્દીઓના મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ છે. ઉમરાના રામનાથ ઘેલા સ્મશાન ભૂમિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્મશાન ગૃહમાં 15 મૃતદેહો અંતિમવિધિ માટે પડ્યા છે. તો મૃતદેહો વધતા સ્મશાનના કર્મચારીઓ ટોકન આપી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, ચેતી જાઓ અને વિચારો બધા. 24 નંબરનો વારો આવ્યો છે અને અમારૂ 40 નંબરનું ટોકન છે. ઉમરાના સ્મશાનમાં લાઇનો લાગી છે.
કોંગ્રેસ નેતા પણ પરિસ્થિતિ જોવા પહોંચ્યા
વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત સ્મશાનગૃહ પહોંચ્યા હતા. તમામ સ્મશાનગૃહમાં વિઝિટ કરી મોતનો આંકડો મેળવ્યો હતો. સાથે નરેન્દ્ર રાવતે કહ્યું કે, વડોદરામાં 15 દિવસનું લોકડાઉન લગાવી દેવું જોઈએ. નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસ આ મામલે તંત્રને રજૂઆત કરશે. સાથે VTVને સાચા આંકડા બતાવવા અને સત્ય ઉજાગર કરવા અભિનંદન પણ આપ્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, શહેરમાં કોરોનાને લઈ થતા મોતનો આંકડો ચિંતાજનક છે.