બોલિવૂડ સ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વોમાં વિલીન થઈ ગયા. સોમવારે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 34 વર્ષીય યુવક અને સ્ટાર કલાકાર કેવી રીતે આત્મહત્યા કરી શકે છે હજુ માન્યામાં નથી આવતું. સુશાંત સિંહના આપઘાતથી પોલીસ પણ મુંજવણમાં મુકાઈ છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનું મોત ફાંસી ખાવાને કારણે નીપજ્યું છે, પરંતુ પોલીસ આ આત્મહત્યાની વધુ અનેક એંગલથી તપાસ કરી રહી છે. સવાલ ઉભો થાય છે કે સુશાંતને આવું પગલું ભરવાની ફરજ પડાઈ હતી કે કેમ?
આ 6 લોકોના નિવેદન નોંધાયા
પોલીસે સુશાંતના પરિવારને ફરિયાદ નોંધાવવા કહ્યું
આજે પરિવારના સભ્યો પોલીસને મળી શકે છે
6 લોકોના નિવેદનો રેકોર્ડ
પોલીસ આ હાઇ પ્રોફાઇલ કેસની ખૂબ નજીકથી તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સુશાંત સિંહની બહેન, તેના બે મેનેજરો, એક કૂક, તેના મિત્ર અને અભિનેતા મહેશ શેટ્ટી અને ચાવીવાળાની પુછપરછ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે સુશાંતે તેને છેલ્લો ફોન કર્યો હતો.
હવે પરિવાર પોલીસને મળશે
જ્યાં સુધી પરિવારના સભ્યોની વાત છે, ત્યાં સુધી માત્ર સુશાંત સિંહની બહેને જ પોતાનું નિવેદન નોંધ્યું છે. તેના પિતા અને પરિવારના અન્ય કેટલાક સભ્યો સોમવારે મુંબઇ પહોંચ્યા છે. પોલીસે તેમને પણ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. પરંતુ ગઈકાલે પરિવારે પોલીસ સાથે વાત કરી નહોતી. બધાએ કહ્યું કે અંતિમ સંસ્કાર પછી તેઓ વાત કરશે. આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવી રહી છે કે મંગળવારે આ તમામ લોકો પોલીસ સમક્ષ પોતાની વાત મુકે.
બોલીવુડમાં હંગામો
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડ હચમચી ગયું છે. ઘણા જાણીતા કલાકારોએ આરોપ લગાવ્યો છે કે જૂના દિગ્ગજ લોકો ઈન્ડસ્ટ્રીમાં નવા લોકોને પ્રવેશ આપતા નથી. જાણીતા દિગ્દર્શક શેખર કપૂરે કહ્યું કે સુશાંત તેમની પાસે આવીને રડ્યા કરતો હતો, કારણ કે બોલિવૂડના લોકોએ તેમને નિરાશ કર્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉતે કહ્યું કે તે આત્મહત્યા નથી પરંતુ આયોજિત હત્યા છે.
તપાસના આદેશ
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ કેસમાં જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેણે આત્મહત્યા કરી છે. મીડિયાના માધ્યમથી તે પ્રકાશમાં આવી રહ્યું છે કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બિઝનેસ હરીફાઈને કારણે આત્મહત્યા કરી છે. પોલીસ વિભાગ પણ તેની પણ તપાસ કરશે.