બુધવારની સવારે તેહરાન (Tehran) એરપોર્ટ પર યુક્રેનનું એક પ્લેન ક્રેશ (Ukrainian Plane Crash) થઇ ગયું. આ અકસ્માતમાં તમામ 176 યાત્રાળુઓના મોત થઇ ગયા. ઇરાન તરફથી કહેવામાં આવ્યું કે ટેકનિકલ ખામીને કારણે ઉડાન ભરવાની સાથે જ વિમાન ક્રેશ થઇ ગયું. જોકે, હવે આ અકસ્માતને લઇને ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે.
તેહરાન (Tehran) એરપોર્ટ પર યુક્રેનનું એક પ્લેન ક્રેશ થયું હતું
વિમાન અકસ્માતમાં તમામ 176 યાત્રાળુઓના મોત થઇ ગયા
યુક્રેન દૂતાવાસે કોઇપણ પ્રકારના આંતકી અથવા રોકેટ હુમલાથી ઇનકાર કર્યો
મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઇરાને ભૂલથી આ વિમાન પર મિસાઇલ હુમલો કર્યો હતો. જોકે, ઇરાને આ પ્રકારની અફવાઓને ફગાવી દીધી છે. પરંતુ આ અકસ્માતનું જે કારણ બતાવાઇ રહ્યું છે, તે શંકા ઉભી કરે તેવું છે. આખરે શા માટે આ અકસ્માતને શંકાની નજરોથી જોવામાં આવી રહ્યો છે.
શું થયું હતું અકસ્માતના સમયે?
બોઇંગ 737-800એ તેહરાન એરપોર્ટથી સવારે 6 વાગ્યાને 13 મિનિટ પર ટેક ઓફ કર્યું હતું. પરંતુ માત્ર 2-3 મિનિટની અંદર જ વિમાન ક્રેશ થઇ ગયું. અકસ્માત બાદ ઇરાનની સ્ટૂડેન્ટ્સ ન્યૂઝ એજન્સીએ એક વીડિયો ટ્વિટ કર્યો. તેમા જોઇ શકાય છે કે, અકસ્માત બાદ આગની જ્વાળાઓ નીચેની તરફ આવવા લાગી. નોંધનીય છે કે, આ બનાવ ઇરાકમાં અમેરિકી એર બેઝ પર મિસાઇલ એટેક બાદ થયો હતો. એવામાં આ બનાવને લઇને વિભિન્ન પ્રકારની અટકળો લગાવાઇ રહી છે.
શું ફ્લાઇટ પર હુમલો કરવામાં આવ્યો?
અકસ્માત કેવી રીતે થયો તેના વિશે હાલ કોઇ જાણકારી સામે આવી નથી. પરંતુ એક એવિએશન એક્સપર્ટ પીટર ગોલ્ઝે ન્યૂયોર્ક ટાઇમ્સમાં દાવો કર્યો છે કે, બની શકે છે કે ફ્લાઇટ પર હુમલો કરવામાં આવ્યો હોય. તેઓનું કહેવું છે કે, જ્યારે તપાસ કરનારી ટીમ પોતાનું કામ શરૂ કરશે ત્યારે તેઓ હુમલાના એંગલથી શરૂઆતી તપાસ કરશે.
શું કહ્યું યુક્રેન અને ઇરાને?
અકસ્માત બાદ બંને દેશોએ અલગ-અલગ નિવેદન આપ્યા. ઇરાનના એક મંત્રી કાસિમ બિનિયાજે કહ્યું કે, એન્જિનમાં આગ લાગી ગઇ અને પાયલટે નિયંત્રણ ગુમાવી દીધું હતું. જ્યારે તેહરાનમાં યુક્રેન દૂતાવાસે કોઇપણ પ્રકારના આંતકી અથવા રોકેટ હુમલાથી ઇનકાર કર્યો. બાદમાં કહેવામાં આવ્યું કે, હાલ કંઇપણ કહેવું મુશ્કેલ છે કે આખરે આ અકસ્માત કેવી રીતે થયો.