હાલમાં સુરતના હીરાના વેપારી અને જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ભરૂચ ખાતે પોતાના રિસોર્ટને લઈને વિવાદમાં આવ્યાં છે. જેમાં નર્મદા નદીમાંથી રસ્તો બનાવવાને લઈને ઘણાં સવાલો ઊભાં થયાં છે. રિસોર્ટના માલિકે પોતાના રિસોર્ટમાં લોકો સહેલાઈથી આવી શકે તે માટે સૂકાયેલી નર્મદા વચ્ચે રસ્તો બનાવી દીધો.
સવજી ધોળકિયાની ચર્ચા આમ તો ઘણી વખત થતી હોય છે પરંતુ હાલમાં તેઓ વિવાદમાં સપડાયાં છે. અગાઉ તેમની ઘણી વાતોમાં તેમના દીકરાને લઈને પણ ચર્ચામાં હતાં કારણકે તેમણે દીકરાને જીવનના પાઠ શીખવાડવા માટે જે કામ કર્યુ હતું તેનાથી લોકો દંગ રહી ગયા હતાં. અરબપતિ સવજી ધોળકિયાએ પોતાના પુત્રને મહેનત-મજૂરી કરાવીને રૂપિયાની કિંમત સમજાવી હતી. ગરીબી શું હોય છે તેનું ભાન કરાવ્યું હતું. તો પુત્રએ પણ પિતાની વાત માની કેરળ જેવા રાજ્યમાં જઈ બેકરી અને હોટલમાં કામ કર્યું હતું. જોઈએ આ અહેવાલ.
2014માં દિવાળી પર પોતાના કર્મચારીઓને ફ્લેગ, ગાડી અને જ્વેલરી જેવી મોંઘી બોનસ આપીને સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલા સવજી ધોળકિયાએ પુત્રને દુનિયાદારી શિખવાડવા માટે એક અનોખો પ્રયોગ કર્યો હતો.
જ્યાં એક તરફ અનેક અરબપતિઓના પુત્રો અને પુત્રી કંપનીઓમાં મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. બીજી તરફ અમેરિકામાં MBAનો અભ્યાસ કરનારા પોતાના પુત્ર દ્રવ્ય ધોળકિયાને માત્ર 7 હજાર રૂપિયા આપીને સવજી ધોળકિયાએ કેરળના કોચ્ચી શહેર મોકલી દીધો.
દ્રવ્યને કહેવામાં આવ્યું હતું કે તેણે એક અંજાન શહેરમાં જઈને નોકરી કરવાની. અને જીવનના કડવા અનુભવોમાંથી શિખ લેવાની. પરંતુ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાની ઓળખ એક ઉદ્યોગપતિના પુત્ર તરીકેની જાહેર નહીં કરવાની. તેણે માત્ર એટલું જ કહેવાનું કે તે ગુજરાતના એક ખેડૂતોનો પુત્ર છે.
સવજી ધોળકિયાએ દ્રવ્ય માટે કોચ્ચીની ટિકિટ કરાવી હતી. કોચ્ચી પહોંચતા જ દ્રવ્યને પહેલા 5 દિવસ નોકરી મેળવવામાં, રહેવાની જગ્યા શોધવામાં અને ભોજન માટે સંઘર્ષ કરવો પડ્યો. સ્થાનિક ભાષા ન આવડતી હોવાની કારણે દ્રવ્યને કોઈ નોકરીએ રાખવા તૈયાર ન હતું. પરંતુ છઠ્ઠા દિવસે દ્રવ્યને એક રેસ્ટોરેન્ટમાં નોકરી મળી ગઈ. દ્રવ્યએ કાઉન્ટર પર બેકરીની આઈટમ વેચી. બાકી સ્ટાફના લોકો સાથે રહ્યો. અને બાકી સ્ટાફ જે ખાતો હતો તે જ તેણે ખાધુ.
આ દરમિયાન તેણે બીજી નોકરી શોધવાની પણ શરૂ કરી દીધી. ઘણી મુશ્કેલીથી દ્રવ્યએ એડિડાસ શો રૂમના માલિકને નોકરી માટે મનાવ્યા. પરંતુ પહેલા જ દિવસે દ્રવ્યને અહેસાસ થઈ ગયો કે તે આ નોકરીને લાયક નથી. બાદમાં દ્રવ્યને એક કોલ સેન્ટરમાં નોકરી મળી. દ્રવ્ય માટે કોચ્ચીની સફર જીવનની સૌથી શિખ બની ગઈ.
સવજી ધોળકિયાએ માત્ર ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. સવજી ધોળકિયા માત્ર થોડા ઘણા રૂપિયા સાથે અમરેલીથી સુરત આવ્યા હતા. પરંતુ આજે દેશના સૌથી મોટા હિરા વેપારી છે. પરંતુ પોતાના પુત્રને યુનિવર્સિટીની ડીગ્રીની સાથે ખરી જિંદગીનો કડવો અનુભવ પણ કરાવ્યો.
કારણ કે તે મહેનતથી કરેલી કમાણીને સમજી શકે. રૂપિયાની સાચી કિંમત સમજી શકે. સવજી ધોળકિયાએ પોતાના ભાઈના પુત્રોને પણ કેટલાક વર્ષો પહેલા દેશના અલગ અલગ શહેરોમાં મોકલીને દ્રવ્ય જેવો જ અનુભવ કરાવ્યો હતો.
સામાન્યમાંથી શિખરો આંબી ગયેલા સવજી ધોળકિયાએ અનેક એવા કામો કર્યા છે જેની લોકો પ્રસંશા કરે છે. તેમનું દાન-પૂર્ણ કામ તેમના દુશ્મનો પણ વખાણે છે. પોતાના પુત્રને પણ મહેનત અને પરસેવાની કમાણી સમજાવનાર સવજી ધોળકિયાનું નામ પોતાના રિસોર્ટ માટે ગેરકાનીની પાળો બાંધવામાં આવતા લોકો પણ અચંબામાં પડી ગયા છે.
જેઓ અન્ય લોકોની સાથે પોતાના પરિવારજનોને પણ સત્યના માર્ગે ચાલવાની સલાહ આપે છે. તે સવજી ધોળકિયાએ કેમ તંત્રની પરવાહ કર્યા વીના પોતાની મનમાની કરી લીધી તે સમજાતું નથી. તો બીજાની તરસ છીપાવવા માટે પોતાના ખર્ચે સરોવરનું નિર્માણ કરાવનારા સવજી ધોળકિયાએ પોતાના રિસોર્ટ માટે કેમ નર્મદા નદીનું વહેણ બદલાઈ જાય તેવો પાળો બાંધ્યો. આવા અનેક પ્રશ્નો લોક મુખે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું ઉકેલ આવે છે. .
પરંતુ હાલ તો વહેતી નર્મદા નદીમાં પાળાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું રિસોર્ટના માલિક સવજી ધોળકિયાએ અંગત સ્વાર્થ માટે પાળો બનાવ્યો ? શું તંત્રને આ સમગ્ર ઘટનાની જાણ જ નહીં હોય ?
જાણકારી હોવા છતાં શું તંત્ર પર કોઈ દબાણ છે ? નર્મદાના તટ સાથે ખિલવાડ કરવાની હિંમત કેમ થઈ રહી છે ? જવાબદારો સામે તંત્ર પગલાં ભરશે ખરું ? ભરૂચનું વહીવટી તંત્ર આખરે ક્યારે જાગૃત બનશે ? શું સવજી ધોળકિયાને તંત્ર તરફથી કોઇ મંજૂરી અપાઈ છે ખરા ?
એક બાજુ નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ નદીના પટમાં પણ પેશકદમીની પેરવી ચાલી રહી છે. ત્યારે તંત્ર કેમ લાચાર છે તે સો મણનો સવાલ છે.