લાખો લોકોનાં ચહેરા પર રોજગારની ચમક રેલાવતાં હીરા ઉદ્યોગની ચમકદમક હવે ફીકી પડતી જાય છે. એક દાયકા પહેલાં આ ક્ષેત્રમાં જેટલું રોજગારીનું પ્રમાણ હતું તેમાં હવે મોટો ઘટાડો નોંધાયો છે. હીરા ઉદ્યોગને જે મંદીનું ગ્રહણ નડ્યું છે તેનો સૌથી વધુ માર નાના કારીગરો પર પડ્યો છે. મંદીનાં આ માર વચ્ચે સૌરાષ્ટ્રનાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા ભાવનગરનાં હીરા ઉદ્યોગની કેવી દશા થઈ છે તે જોઈએ આ અહેવાલમાં.
સૌરાષ્ટ્રનાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા ભાવનગરનાં જ એક કારખાનામાં હીરાની આ ઘંટીઓ પર એકલદોકલ કારીગર બેઠેલાં જોવા મળી રહ્યાં છે. ગણ્યા ગાંઢ્યા કારીગરોને સાચવીને બેઠેલી આ સૂનીસૂની ઘંટીઓ ભાવનગરનાં જ કોઈ એક કારખાનાની હાલતને જ નથી વર્ણવી રહી. પરંતુ સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લાની આ હાલત છે. 2008ની વૈશ્વિક મંદી બાદ હીરા ઉદ્યોગની એવી તો કમર ભાંગી ગઈ છે કે, હજુ સુધી આ ઉદ્યોગ તેમાંથી ઊભો થઈ શક્યો નથી.
એક દાયકા પહેલા લાખો કારીગરોનાં ચહેરા પર રોજગારીની ચમક રેલાવતો આ હીરા ઉદ્યોગ હવે એવો ઝાંખો પડી ગયો છે કે, કારીગરોનાં જીવનમાં પણ રોજીરોટીને લઈને અંધકાર છવાઈ ગયો છે. ભાવનગર જિલ્લામાં એક દાયકા પહેલાં જે ઉદ્યોગ 2 લાખ રત્નકલાકારોનો નિભાવ કરી રહ્યો હતો તે હવે માત્ર સિત્તેર-એંશી હજાર કારીગરનો જ નિભાવ કરી શકે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. આ સ્થિતિમાં ભાવનગરનાં મોટા કારખાનેદારો સુરત તરફ સ્થળાંતરિત થઈ જતા ભાવનગરનાં વિકાસની ગાડી ફરી પાછી પાટા પરથી ખડી ગઈ છે.
રાજ્યનો વિકાસ થઈ રહ્યો હોવાંની વાતો વચ્ચે ભાવનગરનો વિકાસ ધીમો પડી ગયો છે. ભાવનગરનાં વિકાસમાં હીરા ઉદ્યોગનો ઘણે અંશે ફાળો હતો પરંતુ અનેક કારખાના બંધ પડી થઈ જવાનાં કારણે શહેર અને જિલ્લાનાં વિકાસ પર પણ તેની અસર પડી છે. હીરા ઉદ્યોગ માટે જરૂરી કાચી રફની કિંમત સતત વધી રહી છે તો તેની સામે તૈયાર માલનું કોઈ લેવલ નથી. કારણ એ કે મંદીનાં કારણે નાણાની જે લિક્વિટી બજારમાં હોવી જોઈએ તેનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે.
રફ હીરાને પોલિશિંગ તેમજ ફિનિશિંગ કરવા માટે જિલ્લામાં નાના-મોટા 5000થી વધુ કારખાનાઓ આવેલા છે. જેમાં 15થી ઓછી ઘંટી ધરાવતા હીરાના નાના કારખાનેદારો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય રીતે હીરાબજારમાં દિવાળીમાં વેકેશન પડે છે પરંતુ મંદીનાં કારણે ઉનાળામાં પણ વેકેશન જેવો માહોલ જોવાં મળી રહ્યો છે.
એક સમયે રોજના પચાસ હજાર વેપારીઓની અવરજવરથી ધમધમતું ભાવનગરનું આ હીરાબજાર હવે સૂનું સૂનુ લાગી રહ્યું છે અને કારીગરો બજારમાં નવરાધૂપ બેઠેલા જોવા મળી રહ્યાં છે. હીરા ઉદ્યોગની ઝાંખી પડેલી ચમકથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયાં છે અને બીજા ધંધામાં સેટ થવા મથી રહ્યાં છે. ત્યારે કેટલાંક હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે, સરકાર હીરા ઉદ્યોગ માટે કોઈ એવી ઠોસ નીતિ ઘડે જેનાથી આ ઉદ્યોગ પર નભતા લોકોને સલામતીનો અહેસાસ થાય.
ભાવનગરમાં મૃતપાય થતા જતા હીરા ઉદ્યોગને જીવંત રાખવા તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જેમ્સ એન્ડ જવેલરી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી પણ આજે 1 દાયકા બાદ પણ આ વચને આકાર ધારણ કર્યો નથી. તો બીજી તરફ બેંકોમાંથી નાના હીરાઉદ્યોગકારોને ધિરાણ મળતું નથી. આથી હવે હીરાનો ધંધો સેકેલાવા સિવાય કોઈ આરો રહ્યો નથી. ત્યારે ભાવનગરમાં હીરા આધારિત રોજગારીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સરકારે આ દિશામાં નક્કર પગલાં લેવાં જરૂરી છે.