સાળંગપુર ખાતે ભવ્યાતિભવ્ય રંગોત્સવની ઉજવણી. ભક્તિના રંગે રંગાયા ભક્તો, બે વર્ષ બાદ પહેલી વાર જોવા મળ્યો આ નજારો
સાળંગપુર ખાતે ધૂળેટીની ધમાકેદાર ઉજવણી
ભક્તિના રંગે રંગાયા ભક્તો
હનુમાનદાદાને કરાયો વિશેષ શણગાર
શનિવાર અને તેમાં પણ પાછો ધૂળેટીનો પર્વ, હનુમાન દાદાના દર્શન કર્યા વિના ભક્તો રહે ખરા ? શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર બોટાદ સાળંગપુરના હનુમાન મંદિરે ઉમટ્યુ હતું. મંદિરના પટાંગણમાં તો જાણે કે કોઇ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાહતા. દાદાના દર્શન કરવા દૂર દૂરથી આવેલા ભક્તોએ ગુલાલની છોળો ઉડાડીને મંદિરના પ્રાંગણમાં ધૂળેટીની જમાવટ કરી હતી.
કષ્ટભંજન દેવને અનોખો શણગાર
ધૂળેટી નિમિત્તે હનુમાન દાદા પણ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાથી રંગાયા હોય તેમ લાગ્યુ હતુ. આ દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.રંગબેરંગી વાઘાથી જાણે હનુમાન દાદાએ હોળી રમી હોય તેવા દર્શન આજે ભક્તોને કરવાનો લ્હાવો મળ્યો હતો. દાદાની આગળ રંગબેરંગી રંગો મુકીને દાદાને પણ રંગ લગાવવામાં આવ્યો હતો.
મંદિરના સાધુ સંતોએ પણ એકબીજાને ગુલાલ લગાડીને ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી. ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આ પ્રસંગે હાજર રહીને રંગોત્સવના પર્વને યાદગાર બનાન્યું હતું.
રંગોત્સવનો પર્વ
સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે સૌ પ્રથમવાર રંગોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, મંદિરના પટાંગણમાં અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા, લાલ, ગુલાબી સહિત અવનવા રંગોથી માહોલ રંગીન બન્યો હતો.
2 હજાર કિલોથી પણ વધારે રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 70 ફૂટ ઊંચેથી રંગો ઉડાડવામાં આવ્યા હતા. મંદિર દ્વારા 25 હજાર જેટલી ચોકલેટ આકાશમાંથી ભક્તોને પ્રસાદ રુપે આપવામાં આવશે. દાદાના દર્શન કરીને ભક્તોએ પણ ધન્યતા અનુભવી.
બે વર્ષ બાદ આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. પહેલી વાર સાળંગપુર ખાતે હનુમાનજી મંદિરમાં ભવ્યાતિભવ્ય હોળીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભક્તિના ગીતો સાથે ગુલાલની છોળો ઉડાડીને ભક્તો દાદાની ભક્તિથી રંગાયા હતા. આ દરમિયાન મંદિરનો કંઇક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સાધુ સંતોએ ભક્તોને રંગો વડીને રંગીને ભક્તોનુ જીવન પણ રંગોથી ભરાઇ જાય તેવી શુભકામના પાઠવી હતી.