Board Exam Result 2023: અમદાવાદમાં સામાન્ય પરિવારમાંથી આવતા ધ્રુવ વાઘેલાએ ધોરણ 12 કોમર્સમાં 98.57 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ધુવના માતા-પિતા ઘરે સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ધોરણ 12 સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
અસામાન્ય પરિવારમાં આવતા ધ્રુવ વાઘેલાએ મેળવી સફળતા
ધોરણ 12 કોમર્સમાં 87 ટકા અને 98.57 PR મેળવ્યા
'કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.' આ કહેવત આપણે સાંભળી હશે કે ક્યાય ને ક્યાય વાંચી પણ હશે. પરંતુ અમદાવાદના ધ્રુવ વાઘેલાએ આ કહેવતને પોતાના જીવનમાં સાર્થક કરીને બતાવી છે. તેણે ધોરણ 12ની પરીક્ષામાં 87% અને 98.57 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
ધોરણ 12માં મેળવ્યો 98.57 પર્સન્ટાઇલ
અમદાવાદના ગીતા મંદિર પાસે આવેલી બુધાપુનાની ચાલીમાં રહેતા ધ્રુવ વાઘેલા નામના વિદ્યાર્થીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ધોરણ 12 કોમર્સની પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે. ધ્રુવને તમામ વિષયમાં 90થી 95 જેટલા માર્ક્સ આવ્યા છે. તેણે ધોરણ 12 કોમર્સમાં 98.57 પર્સન્ટાઇલ મેળવ્યો છે.
ધ્રુવ વાઘેલાના માતા-પિતા છે દિવ્યાંગ
આપને જણાવી દઈએ કે, ધ્રુવ વાઘેલાના માતા-પિતા દિવ્યાંગ છે. તેઓ ઘરે બેઠા સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે તેમના દીકરાને ભણાવવામાં કોઈ કચાશ છોડી નથી. તો દીકરા ધ્રુવે પણ મહેનત કરી 87 ટકા મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
'પરીક્ષા નજીક હતી ત્યારે સવારથી રાત સુધી વાંચતો'
VTV NEWS સાથે વાત કરતા ધ્રુવે જણાવ્યું કે, મારા શિક્ષકોની મહેનતને લીધે જ મારું સારું પરિણામ આવ્યું છે, શરૂઆતમાં હું દિવસમા 3-4 કલાક વાંચતો હતો અને પરીક્ષા નજીક હતી ત્યારે સવારથી રાત સુધી મહેનત કરી હતી. મારા પિતા સિલાઈનું કામ કરે છે. અને મારી માતા પણ ઘરે બેઠા સિલાઈનું કામ કરે છે.
મારા દિકરાએ ખૂબ મહેનત કરી છેઃ ધ્રુવના પિતા
ધ્રુવના પિતાએ જણાવ્યું કે, મારા દિકરાએ ખૂબ મહેનત કરી છે, રાત-દિવસ જાગીને ખૂબ મહેનત કરીને તેનું આ પરિણામ આવ્યું છે. મારા દિકરાને MBA કરવાનું છે. તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે MBA કરશે.
ગત વર્ષ કરતા આ વર્ષે 13.64 ટકા ઓછુ પરિણામ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનું પરિણામ 73.27 ટકા નોંધાયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 13.64 ટકા ઓછુ પરિણામ નોંધાયું છે. સોથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા નોંધાયું છે, જ્યારે ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા નોંધાયું છે.
311 શાળાનું 100% પરિણામ
રાજ્યની 311 શાળાનું 100% પરિણામ આવ્યું છે. તો રાજ્યની 44 શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 હજાર 874 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 20 હજાર 38 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 52 હજાર 291 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 83 હજાર 596 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 1 લાખ 1 હજાર 797 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 77 હજાર 43 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ અને 20 હજાર 20 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો છે.