ક્રિકેટમાં ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા બાદ મહેન્દ્રસિંહ ધોની હવે ખેતીમાં પણ હેલિકોપ્ટર શોટ ફટકારી રહ્યો છે.
'ઈઝા ફાર્મ' બ્રાંડથી આ ઉત્પાદનોનું થઈ રહ્યું છે વેચાણ
હાલ મરઘીના ૨,૦૦૦ બચ્ચાં માહીનાં ફાર્મમાં ઊછરી રહ્યાં છે
ત્રણ વર્ષ પહેલાં ધોનીએ ધુર્વા સ્થિત સેમ્બો ફાર્મહાઉસમાં ડેરીનું કામ શરૂ કર્યું હતું. હવે અહીં મોટી સંખ્યામાં શાકભાજી પણ ઉગાડી રહ્યો છે. દૂધનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. 'ઈઝા ફાર્મ' નામની બ્રાંડથી આ ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે. તાજેતરમાં ધોનીના ફાર્મનાં ઓર્ગેનિગ ટામેટાં અને દૂધનું વેચાણ શરૂ થયું.
ધોનીના ધુર્વા સ્થિત ફાર્મહાઉસની ઓર્ગેનિક શાકભાજી બજારમાં મળવા લાગી છે. હજુ માર્કેટમાં ફક્ત ટામેટાં અને દૂધનું જ વેચાણ થઈ રહ્યું છે. બજારમાં ટામેટાં ૪૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ૮૦ કિલો ટામેટાંમાંથી ૭૧ કિલો ટામેટાં વેચાઈ ગયાં. ૨૦ દિવસ બાદ ઓર્ગેનિક કોબીજ, ફ્લાવર, વટાણામાં પણ બજારમાં આવી જશે. ધોનીના આ ફાર્મમાં સ્ટ્રોબેરી અને બ્રોકલીની પણ ખેતી થઈ રહી છે.
માહીના ફાર્મમાં ઉગાડવામાં આવેલી શાકભાજીનું માર્કેટિંગ શિવનંદન નામની એક વ્યક્તિ સંભાળી રહી છે. શિવનંદને જણાવ્યું, ''ધોનીએ થોડા દિવસ પહેલાં મને મળવા માટે બોલાવ્યો અને કહ્યું હતું કે ફાર્મમાં શાકભાજી અને દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. એનું માર્કેટિંગ કરવાનું છે. ત્યાર બાદ એગ્રિમેન્ટ થયું અને શાકભાજીનું વેચાણ શરૂ થઈ ગયું.''
શિવનંદને વધુમાં કહ્યું, ''દૂધ ૫૫ રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. એમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી. પંજાબથી ૬૦ ગાય લાવવામાં આવી હતી. જર્સી અને શહવાલ પ્રજાતિની ગાયનું દૂધ બજારમાં વેચાઈ રહ્યું છે. હાલ અપર બજાર, લાલપુર, વર્ધમાન કંપાઉન્ડમાં વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત પી. પી. કંપાઉન્ડમાં પણ ટૂંક સમયમાં કાઉન્ટર ખોલાશે.'' ઉલ્લેખનીય છે કે ધોનીએ પોતાના ફાર્મહાઉસ માટે કડકનાથ મૂર્ગાનાં બચ્ચાં પણ મંગાવ્યાં હતાં. હાલ લગભગ ૨,૦૦૦ બચ્ચાં માહીનાં ફાર્મમાં ઊછરી રહ્યાં છે.