ગત આઇપીએલ સિઝનમાં ધોનીની સેલેરી ૧૫ કરોડ રૂપિયા હતી
આઇપીએલ-૨૦૨૨ માટે સીએસકે દ્વારા જારી કરવામાં આવેલા રિટેશન લિસ્ટ બાદ એ નક્કી થઈ ગયું કે મહેન્દ્રસિંહ ધોની આગામી સિઝનમાં રમશે. ધોનીએ પહેલાં જ સીએસકે મેનેજમેન્ટને કહી દીધું હતું કે ટીમ તેના પર વધુ નાણાં ખર્ચીને તેને રિટેન ના કરે. ધોની ઇચ્છતો હતો કે કોઈ અન્ય ખેલાડીને મહત્ત્વ અપાય. જ્યારે સીએસકેની યાદી જાહેર થઈ ત્યારે કંઈક એવું જ નજરે પડ્યું. ધોની બીજા નંબર પર રિટેન થનાર ખેલાડી બન્યો અને પહેલા નંબર પર સીએસકેએ રવીન્દ્ર જાડેજાને રિટેન કર્યો. એટલે કે ધોનીએ કહ્યું હતું એવું જ કંઈક થયું.
ખેલાડીઓ જળવાઈ રહે તે માટે ધોનીએ આપ્યું બલીદાન
રવીન્દ્ર જાડેજા જેવો ખેલાડી સીએસકેમાં જળવાઈ રહે તેના માટે ધોનીએ મોટો ત્યાગ કર્યો અને પોતાનું વેતન ઘટાડ્યું ને ઓછી સેલેરીમાં ટીમ સાથે જોડાઈ રહેવાનો નિર્ણય કર્યો. પહેલા નંબરના ખેલાડી તરીકે રિટેન થવાને કારણે જાડેજાને રૂ. ૧૬ કરોડ જેટલી મોટી રકમ મળશે, જ્યારે ધોનીને ૧૨ કરોડ રૂપિયા મળશે. ગત આઇપીએલ સિઝનમાં ધોનીની સેલેરી ૧૫ કરોડ રૂપિયા હતી એટલે કે ૨૦૨૨ની સિઝનમાં માહીને ત્રણ કરોડ રૂપિયા ઓછા મળશે.
આના પરથી સ્પષ્ટ થાય છે કે ધોનીને શા માટે મહાન કેપ્ટન કહેવામાં આવે છે. તે જાણે છે કે હવે તેની ઉંમર વધી રહી છે. તે ભવિષ્ય માટે નવી લીડરશિપ તૈયાર કરવા ઇચ્છે છે. આ જ કારણે ધોનીએ પોતાના કરતાં જાડેજાને વધુ મહત્ત્વ અપાવ્યું. ધોની અને જાડેજા ઉપરાંત મોઇન અલી (આઠ કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (છ કરોડ)ને રિટેન કરવામાં આવ્યા છે.
માહીએ પોતે જાડેજાને નંબર વન રિટેન ખેલાડી બનાવવાનો નિર્ણય કર્યો
સીએસકેના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીએ ધોનીની આ દરિયાદિલી અંગે કહ્યું, ''માહીભાઈએ ખુદ જાડેજાને નંબર વન રિટેન ખેલાડી બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ તેની દરિયાદિલી છે. તેનાથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું કે ટીમને શું જોઈએ. તે હંમેશાં અમારો કેપ્ટન જ રહેશે.''
સીએસકેની દૃષ્ટિએ જોવામાં આવે તો પગલું એકદમ યોગ્ય છે, કારણ કે ૪૦ વર્ષીય ધોનીની આગામી આઇપીએલ અંતિમ હોઈ શકે છે, કારણ કે આ વખતે લીગનું આયોજન ભારતમાં થવાનું છે અને રિટેન્શન લિસ્ટ જાહેર થયા પહેલાંથી જ ધોનીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે આઇપીએલની અંતિમ મેચ ચેન્નઈમાં જ રમવા ઇચ્છે છે. રવીન્દ્ર જાડેજાને સીએસકેના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.