આજે પણ ઘણા એવા ઘરો છે જ્યાં માત્ર દિકરાના જન્મને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. દિકરીનો જન્મ થાય તો પરિવારજનોના મોંઢા પડી જાય છે. ભલે આપણે 21મી સદીમાં જીવતા પરંતુ સ્ત્રી ભ્રૂણ હત્યા અને નવજાત બાળકીને રઝળતી મૂકી દેવાના કિસ્સા વધી રહ્યા છે. જો કે ઘણા પરિવાર એવા પણ છે જ્યાં દિકરીનો જન્મ થતા જ ખુશીથી ઝૂમી ઉઠે છે. ત્યારે વાત કરીએ આવા જ એક પરિવારની. પરિવારમાં 40 વર્ષે દિકરીનો જન્મ થતા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી,.
સુરતના પરિવારમાં દિકરીનો જન્મ
વાત છે ગુજરાતના સુરત શહેરની. ડાયમંડ કિંગ ગણાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના પુત્રના ઘરે દિકરીનો જન્મ થયો. દીકરીના જન્મની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને સારો સંદેશ આપ્યો છે. ઉદ્યોગપતિ પરિવાર ઘરે જન્મેલી નવજાત દીકરીને ગુલાબી રંગની બસમાં લઈને શહેરની મુલાકાતે લઈ ગયો હતો. ગોવિંદ ધોળકિયાની પર્સનલ વેનિટી વાનને સફેદ રંગમાંથી ગુલાબી રંગની કરીને તેના પર 'ઇટ્સ અ ગર્લ ચાઇલ્ડ' નો મેસેજ લખીને હોસ્પિટલથી લઇને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી.
પરિવારે અનોખી રીતે કરી ઉજવણી
સુરત શહેરમાં જોવા મળેલી આ ગુલાબી બસ ખાસ દિકરીના જન્મના વધામણામાં સજાવવામાં આવી હતી. હીરાના વેપારી ગોવિંદ ધોળકિયાને બે પુત્રો છે. તેમાંથી શ્રેયાંસ ધોળકિયાની પત્નીએ દિકરીને જન્મ આપતા ધોળકિયા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી હતી. નવજાત શિશુના પિતા શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, "પરિવારે દિકરીના જન્મની ખુશી ઉજવવા તેમજ 'બેટી બચાવો બેટી પઢાવો'નો સંદેશ ફેલાવવા માટે એક ખાસ મેસેજ આપતી બસ સુરત શહેરના માર્ગો પર દોડાવવામાં આવી હતી..
દિકરી જન્મને લઇને જાગૃતિ ફેલાવાનો પ્રયાસ
ઉદ્યોગપતિ પરિવારે જણાવ્યું કે આજે ચાર દાયકા બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે, જેની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજના સમાજમાં દીકરીના ઉછેરની વાતો તો ઘણી થાય છે પરંતુ દીકરીના જન્મથી પણ લોકો નિરાશ થઈ રહ્યા છે. તેથી જ આ અનોખા સંદેશ દ્વારા તેમણે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અને દીકરીના જન્મને પણ પ્રોત્સાહન આપ્યું.
ગોવિંદ ધોળકિયા કરે છે સમાજ સેવા
તમને જણાવી દઈએ કે 2008થી સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એવા પરિવારો માટે ભાગ્ય લક્ષ્મી સ્કીમ ચલાવે છે, જ્યાં ચારથી વધુ દીકરીઓ હોય. ધોળકિયા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં આવા 25 પરિવારોને દર વર્ષે 11000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. 1992 થી આ પરિવાર દીકરીઓના શિક્ષણ માટે શાળા ચલાવે છે, જેમાં અત્યાર સુધીમાં 6240 દીકરીઓને મફત શિક્ષણ મળ્યું છે. આટલું જ નહીં ગોવિંદ ધોળકિયાએ 500થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે.
ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ કરે છે ખર્ચ
હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સમાજ સેવા ઉપરાંત ધાર્મિક કાર્યમાં પણ વ્યસ્ત છે. તેમણે અયોધ્યામાં બંધાઈ રહેલા ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રૂ. 11 કરોડનું દાન આપ્યું હતું અને હાલમાં તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગમાં 311 હનુમાનજી મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સામાજિક અને ધાર્મિક કાર્યોમાં જોડાયેલા છે અને જ્યારે તેમના ઘરે 40 વર્ષ બાદ બાળકીનો જન્મ થયો ત્યારે તેમની ખુશી કંઈક અલગ જ રીતે દર્શાવવામાં આવી હતી.