કોંગ્રેસમાંથી છેડો ફાડનાર બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે ભાજપમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ છોડ્યા બાદ ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડાવા મામલે ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે.
પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. ધવલસિંહ ઝાલા નરોડામાં સત્યમ વિદ્યાલયમાં તેમના માતા-પિતાના આશીર્વાદ લેશે. બાદમાં તેઓ તેમના મૂળ વતન બાયડ તાલુકાના ગાબટમાં જીતપુર ગામે મહાકાળી માતાજીના દર્શન કરશે. તેમણે જે જગ્યાએથી રાજકારણી શરૂઆત કરી હતી તે બોરમઠ ગામે પણ માતાજીના દર્શન કર્યા બાદ અલ્પેશ ઠાકોરના ઘરે પહોંચશે. ત્યારબાદ તેઓ અલ્પેશ ઠાકોર સાથે ગાંધીનગર ભાજપ મુખ્યાલય કમલમ પહોંચી ભાજપનો ખેસ ધારણ કરશે.
ભાજપમાં જોડાવવા મામલે ધવલસિંહ ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, હું આજે ભાજપમાં જોડાવવા જઈ રહ્યો છું. ભાજપ એવી પાર્ટી છે જેને પ્રજાએ સ્વીકારી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે સ્થાનિકો સાથે અન્યાય થઈ રહ્યો છે. પ્રજા સાથે અન્યાય થતા મારે પક્ષ છોડવો પડ્યો છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, આગામી દિવસોમાં ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ઘણા ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે.
આ સાથે જ ધવલસિંહ ઝાલાના પિતાએ પણ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપમાં અમારું હિત દેખાય રહ્યું છે. જેથી અમે ભાજપમાં જોડાઈએ છીએ. અમિત ભાઈ શાહ અને PM મોદીની કામગીરીથી અમને સંતોષ છે. અલ્પેશ અને ધવલ સિંહ પ્રજા ના કામ કરશે. અલ્પેશની સાથે ધવલને મંત્રી પદ મળશે કે નહિ એ મારો વિષય નથી. પણ એમને જે કાર્ય સોંપવામાં આવશે તે કામ પ્રજાને સાથમાં રાખીને કરશે તેવી મને આશા છે. અલ્પેશ ઠાકોર આજે જ કેસરિયો ધારણ કરી શકે છે.