અધિકમાસમાં ભગવાન વિષ્ણુના પૂજનનું અનેરૂં માહત્ય રહેલું છે. ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે વાત કરીએ. આજે બીજા અવતાર કૂર્મ અવતારનું મહત્વ અને તેનું કારણ જાણવું જરૂરી છે.
શુક્રવાર 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ રહેશે. તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું છે. જેના કારણે અધિકમાસમાં વિષ્ણુજીની પૂજા કરવી અને તેમના દસ અવતારોની કથા સાંભળવાની પરંપરા છે. વિષ્ણુજીના અવતાર અવગુણોનો અંત અવશ્ય થાય છે તેવું શીખવે છે. વ્યક્તિએ દરેક સ્થિતિમાં મન શાંત રાખવું જોઇએ. ધર્મનો હંમેશા જય થાય છે. અને અર્ધમ ભોંય ભેગો થાય છે.
દર વર્ષે આ પવિત્રમાસમાં ભાગવત કથાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે આપણે ભગવાનના 10 અવતાર વિશે અહીં જ વાત કરીશું, ગઈ કાલે મત્સ્ય અવતાર વિશે વાત કરી આજે ભગવાનના બીજા અવતાર વિશે વાત કરીશું.
દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ કૂર્મ જયંતી ઉજવવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુનો બીજો અવતાર માનવામાં આવે છે. આ અવતારને લઇને કથા પ્રચલિત છે કે, પ્રાચીન સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે વિષ્ણુજીએ કાચબાનું સ્વરૂપ લઇને પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ગ્રહણ કર્યો હતો. દેવતાઓ અને દાનવોએ વાસુકિ નાગને દોરડાની જેમ મંદરાચલનું વલોણું બનાવ્યું અને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં હળાહળ વિષ બહાર આવ્યું, જેને શિવજીએ ગ્રહણ કર્યું હતું. ત્યાર બાદ 14 રત્નો મળી આવ્યાં અને છેલ્લે અમૃત કળશ મળી આવ્યો હતો
દેવાધિપતિ ઈન્દ્રના ઐશ્વર્યે અહંકારને આમંત્રણ આપ્યું અને અહંકાર વિનાશને સાથે લઈ આવ્યો. સ્વર્ગમાં લટાર મારવા નીકળેલાં ઈન્દ્રની સવારી જોઈને પ્રસન્ન થયેલા દુર્વાસાએ પારિજાતના પુષ્પની માળા ઈન્દ્ર તરફ ફેંકી. ઈન્દ્રની આંખોમાં અહંકારનાં મોતિયા બિંદુ આવી ગયેલાં. તેણે તે માળા ઐરાવતના મસ્તક પર મૂકી. હાથીએ સૂંઢમાં લઈને પગ નીચે કચડી ત્યારે દુર્વાસાએ ક્રોધિત થઈને શાપ ફટકાર્યો. જે લક્ષ્મીના ઐશ્વર્યના મદથી તું આંધળો થયો છે તેનો તત્કાળ સંપૂર્ણ નાશ થાઓ.
તેજ-ક્રાન્તિ-ઐશ્વર્ય-લક્ષ્મીહીન સ્વર્ગાધિપતિ ઈન્દ્રપર દૈત્યરાજ બલિએ ચડાઈ કરીને વિજય મેળવ્યો. હારેલા દેવતાઓ ભગવાન નારાયણના શરણે ગયા. ભગવાને યશ, શ્રી, ક્રાંતિ મેળવવા ક્ષીરસાગરનું મંથન કરવાની સલાહ આપી.
દેવતાઓએ સ્વાર્થસિદ્ધિ વાસ્તે અસુરો સાથે સંધિ કરી. અને મંદરાચલને મથની તરીકે મૂકીને વાસુકીનું દોરડું વીંટેના વીંટે ત્યાં તો મંદરાચલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તાબડતોબ દેવતાઓ પુનઃ નારાયણના શરણે ગયા અને પ્રાર્થના કરી ત્યારે ભગવાને એક લાખ યોજનની પીઠવાળા કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો. પરિણામે દેવતાઓ સમુદ્ર મંથન કરવામાં સફળ થયા. ક્રમશઃ ચૌદ રત્નો પ્રાપ્ત કર્યાં અને સુખી થયા.