અધિકમાસમાં ભગવાન વિષ્ણુના પૂજનનું અનેરૂં માહત્ય રહેલું છે. ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે વાત કરીએ. આજે ત્રીજા અવતાર વરાહ અવતારનું મહત્વ અને તેનું કારણ જાણવું જરૂરી છે.
ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર
વરાહ અવતાર દ્વારા હિરણ્યક્ષનો કર્યો વધ
અધિક માસમાં જાણો ભગવાનના દશાવતાર
શુક્રવાર 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ રહેશે. તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું છે. જેના કારણે અધિકમાસમાં વિષ્ણુજીની પૂજા કરવી અને તેમના દસ અવતારોની કથા સાંભળવાની પરંપરા છે. વિષ્ણુજીના અવતાર અવગુણોનો અંત અવશ્ય થાય છે તેવું શીખવે છે. વ્યક્તિએ દરેક સ્થિતિમાં મન શાંત રાખવું જોઇએ. ધર્મનો હંમેશા જય થાય છે. અને અર્ધમ ભોંય ભેગો થાય છે.
દ્વારપાળોના શ્રાપની ગાથા
પૌરાણિક કથા અનુસાર વૈકુંઠ લોકના દ્વારપાળ જય અને વિજયે વૈકુંઠ જતાં સપ્ત ઋષિઓને દ્વાર પર રોક્યા હતા, જેના લીધે તેમને શ્રાપ મળ્યો હતો અને ઘણા વર્ષો સુધી બંનેને પૃથ્વી પર દૈત્ય તરીકે રહેવુ પડ્યું હતું.
પહેલા જન્મમાં બંનેએ કશ્યપ અને દિતિના પુત્ર હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ તરીકે જન્મ્યા, બાદમાં તેમણે પૃથ્વીવાસીઓને હેરાન કરવાનુ શરૂ કરી દીધુ. બંને રાક્ષસનો અત્યાચાર દિવસેને દિવસે વધતો જતો હતો. હિરણ્યક્ષે યજ્ઞ કર્મ કરનાર લોકોને પ્રતાડિત કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
આ રીતે પ્રગટ થયા ભગવાન વરાહ
હિરણ્યક્ષ એક દિવસ ફરતા ફરતા વરુણ નગરીમાં પહોંચી ગયા, પાતાળલોકમાં જઇને વરુણ દેવને યુદ્ધ માટે લલકાર્યા પરંતુ વરુણ દેવે કહ્યું કે હું તારા જેવા કુશળ યોદ્ધા સાથે લડવા યોગ્ય નથી તુ સીધો વિષ્ણુ ભગવાન સાથે જ યુદ્ધ કર. ત્યારે દેવતાઓએ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે આ રાક્ષસથી મુક્તિ અપાવે. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુનુ ધ્યાન કર્યુ અને તેમના નાકમાંથી ભગવાન વરાહનો જન્મ થયો.
કેવા હતા વરાહ ભગવાન
વરાહ એટલે સુવર, વરાહ અવતારમાં મસ્તક વરાહ એટલે કે સુવરનુ હતુ અને શરીર માણસનુ હતું. મોટા લાંબા દાંત અને માણસના શરીર સાથે ભગવાનનો જન્મ થયો હતો.
વરાહ અવતારે કર્યો દાનવનો અંત
વરુણદેવની વાત સાંભળીને હરણ્યક્ષ વિષ્ણુ ભગવાનને શોધવા નિકળ્યો ત્યારે દેવર્ષિ નારદે તેને કહ્યું કે હાલમાં તો ભગવાન વરાહ અવતાર ધારણ કરીને પૃથ્વીને સમુદ્રમાં શોધી રહ્યાં છે. ત્યારે રાક્ષસ ભગવાનને શોધતો સમુદ્રમાં પહોંચ્યો, તેણે જોયુ કે ભગવાન વરાહ તેમના દાંત પર પૃથ્વીને લઇને ચાલી રહ્યા છે. હિરણ્યક્ષે ભગવાન વરાહને યુદ્ધ માટે લલકાર્યા, બંને વચ્ચે ભિષણ યુદ્ધ થયુ. ભગવાન વરાહે પોતાના મોટા દાંત વડે હિરણ્યક્ષનુ પેટ ફાડી દીધુ અને પૃથ્વીને પોતાના સ્થાન પર સ્થાપિત કરી દીધી.