પંચદિવસીય અતિ પવિત્ર તહેવાર એટલે કે દિવાળીની શુભ શરૂઆત આજે ધનતેરસથી થઇ ચૂકી છે. લોકો આ શુભ દિવસે ખરીદી કરતાં હોય છે ત્યારે ધનતેરસની ખરીદી કરવાનો વધુ એક દિવસ લોકોને મળ્યો છે. તમે આ વર્ષે ધનતેરસની ખરીદી શનિવાર 22 ઑક્ટોબરની સાંજથી 23 ઑક્ટોબરની સાંજ સુધીના શુભ મૂહુર્તમાં કરી શકશો.
ધનતેરસની ખરીદી હવે 2 દિવસ શક્ય
શનિ અને રવિવારે છે શુભ મૂહુર્ત
વિશેષ મૂહુર્તમાં કરી શકો છો શોપિંગ
ધનતેરસ પર બ્રહ્ન અને ઇન્દ્ર નામક શુભ યોગ બને છે. તેથી આ દિવાળી ધનતેરસની શુભકારી ખરીદીનો મૂહુર્ત 22 ઑક્ટોબરની સાંજથી 23 ઑક્ટોબરની સાંજ સુધી રહેલો છે. પ્રસિદ્ધ પંચાગમાં આ મૂહુર્તની માહિતી આપવામાં આવી છે.
પંચાગ અનુસાર મૂહુર્ત
પંચાગ અનુસાર 22 ઑક્ટોબરના દ્વાદશી તિથિ સાંજે 4.33 સુધી છે અને પછી ત્રયોદશી તિથિ શરૂ થાય છે. આ દિવસે પૂર્વાફાલ્ગુની નક્ષત્ર બપોરે 1.29 સુધી મળશે અને ત્યારબાદ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને બ્રહ્મ યોગ સાંજે 5.50 સુધી રહેશે. આ બાદ ઇન્દ્ર નક્ષત્ર લાગુ પડે છે જે અતિ શુભકારી છે. અહીં ચંદ્રમાની સ્થિતિ સિંહ રાશિગત છે.
ત્રયોદશી હોવાથી ધન્વંતરિ જયંતિનો પર્વ પણ આજે
આજના દિવસે સૂર્યાસ્તનાં સમયે ત્રયોદશી હોવાને લીધે ધનતેરસની સાથે ધન્વંતરિ જયંતિનો પર્વ પણ આજના દિવસે જ ઉજવવામાં આવે છે. શનિવારની રાત 8.42 મિનીટથી રવિવારે રાત્રે 2.38 વાગ્યાં સુધી સિદ્દિ સર્વાર્થ યોગ રહેવાનો છે. મોટાભાગે લોકોનું માનવું હોય છે કે શનિવારનાં દિવસે લોખંડનો સામાન ખરીદવું જોઇએ નહીં. પરંતુ ધનતેરસના સમગ્ર દિવસમાં અભૂતપુર્વ મૂહુર્ત રહે છે. આ સિવાય શનિવારે ધાતુ ન ખરીદવા ઇચ્છતા લોકો રવિવારે સાંજે 5.04 કલાક સુધી ખરીદી કરી શકશે.
સ્વસ્થ આરોગ્ય માટે ધન્વંતરિની પૂજા
પુરાણો અનુસાર સમુદ્ર મંથનનાં સમયે હાથમાં કળશ લઇ ધન્વંતરિજી પ્રગટ્યાં હતાં. ધન્વંતરિજી આયુર્વેદનાં જનક મનાતા હતાં અને આ દિવસે તેમની પૂજા કરીને રોગમુક્ત જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ સિવાય ધનતેરસનાં દિવસે કુબેરજીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધાતુના વાસણોને ખરીદવું અતિ સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. આ દિવસે કોઇને પણ પૈસા કે વસ્તુ ઉધાર દેવા જોઇએ નહીં અને સાંજના સમયે દ્વારની બંને બાજુએ દિવા પ્રગટાવવા જોઇએ.
ખરીદીનાં શુભ મૂહુર્ત
22 ઑક્ટોબરનાં સાંજે 4.33 વાગ્યાથી કાર્તિક કૃષ્ણ ત્રયોદશીથી 23 ઑક્ટોબર સાંજે 5.04 સુધી શુભ મૂહુર્ત છે. ધનતેરસના દિવસે 22નાં ખરીદીનો વિશિષ્ટ મૂહુર્ત સાંજે 5.39 વાગ્યાથી સાંજે 7.10 સુધી છે અને ફરી રાત્રે 10.30 થી 12 વાગ્યા સુધી રહેશે. બીજા દિવસે 23 ઑક્ટોબરનાં સવારે 7.42થી 9.01 સુધી અને ફરી 9.02 થી બપોરે 1.20 સુધી લાભદાયી મૂહુર્ત છે અને ફરી છેલ્લે 2.40થી સાંજે 4.01 સુધી શુભયોગ બની રહ્યો છે.