ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની મુશ્કેલમાં વધારો થયો છે. ધનજી ઓડનું ભાડાનું મકાન ખાલી કરાવવા આવશે. અમદાવાદના ચાંદખેડાનું મકાન ખાલી કરવા માટે મકાન માલિક દ્વારા નોટિસ મોકલવામાં આવશે. મકાન માલિકે 10 દિવસમાં મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સુશીલકુમાર યાદવના મકાનમાં રહે છે. ત્યારે પોલીસે સુશીલ કુમારનું પણ નિવેદન લીધું હતું. ત્યારે હવે મકાન માલિકે મકાન ખાલી કરાવવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ધનજી ઓડ ઉર્ફે ઢબૂડીમાતાનું પ્રકરણ ચાલી રહ્યું છે. લાંબા સમય સુધી ભૂગર્ભમાં ચાલતી અને સોશિયલ મીડિયામાં દ્વારા પ્રચાર પામતી તેની ગતિવિધિના રહસ્ય પરથી હવે પડદા ખૂલી રહ્યા છે. ત્યારે પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ
ચાંદખેડામાં આવેલા દિવ્યપુંજ બંગ્લોઝના 20 નંબરના મકાનના માલીક સુશીલ યાદવે ધનજી ઓડની પત્ની પવનબેનને ભાડા કરારથી મકાન આપ્યું હતું. આ મકાનમાં ધનજી ઓડ સહિત 6 લોકો રહે છે. પરંતુ અંધશ્રધ્ધા અને પોલીસ ફરિયાદના કારણે સુશીલ કુમારે 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. અગાઉ પણ પેથાપુર પોલીસે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડને પોલીસ સ્ટેશનમા નિવેદન નોંધવવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે, ધનજી ઓડ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. આ ફરિયાદ બાદ વચ્ચે ઢબુડી મા ભુગર્ભમાં છે. ત્યારે પેથાપુર પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમે સંયુક્ત રીતે તપાસ તેજ કરી છે.
ઢબુડી માંએ બચવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો વાયરલ
ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડ અને ઢબુડી માંના ભક્ત જયંતિ ઓડ સામે છેતરપિંડીની ફરિયાદ થઈ છે. જયંતિ ઓડ સામે અંધશ્રદ્ધા ફેલાવવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ધનજી ઓડ સામે ફરિયાદ બાદ જયંતિ ઓડે લોકોને ડરાવવા માટે નવો કિમીયો અજમાવ્યો છે. જયંતિ ઓડે સોશિયલ મીડિયામાં વિરોધ ન કરવાના વીડિયો વાયરલ કર્યા છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, ઢબુડી માંનો વિરોધ કરવાથી નુકસાન થાય છે. ઢબુડી માના ભક્તોએ વીડિયો વાયરલ કરીને ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડ સામે વિજ્ઞાન જાથાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ધનજી ઓડ ફરાર થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં ઢબુડી માંનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે લોકોને વિરોધ ન કરવા માટેના વીડિયો વાયરલ કરાયા છે.