બનાસકાંઠાના નેનાવામાં છેલ્લા 40-40 દિવસથી આ હોસ્પિટલ ફરજ બજાવતા ડૉક્ટરે અચાનક રાજીનામુ આપી દેતા હજારો દર્દીઓ પ્રાથમિક સારવાર માટે 30 કિલોમીટર દૂર ધાનેરા જવું પડે છે
ધાનેરાનું નેનાવા ધલવલે છે પ્રાથમિક સુવિધાઓ માટે
એક માત્ર તબીબે રાજીનામું આપતા હોસ્પિટલ ખાટલે
હજારો દર્દીઓ નજીવા દરની સારવાર માટે રઝળે છે
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રનો ચિતાર આપતી એક વરવી વાસ્તવિકતા એ છે કે કોઈપણ વ્યક્તિને સામાન્ય ખર્ચે આરોગ્યની સુવિધા મળી રહે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે. જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, રાજ્ય કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષા સુધીની વ્યવસ્થાઓ ગોઠવાય છે, પરંતુ આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રે એક નાનકડો ફેરફાર, હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે.
વરવી વાસ્તવિકતાતો હોસ્પિટલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા નેનાવા ગામની. કહેવા પૂરતો ભલે નેનાવા, ગામડુ કહેવાતું હોય. પરંતુ આ ગામમાં આવેલું પ્રાઈમરી હેલ્થ સેન્ટર આસપાસના વિસ્તારના હજારો લોકો માટે સારી, સસ્તી અને સુવિધાજનક સારવાર માટેનો એક વિકલ્પ છે. છતાં કમનસીબી એ છે કે છેલ્લા 40-40 દિવસથી આ હોસ્પિટલ માત્ર નામની જ રહી ગઈ છે. કારણકે અહિંયા ફરજ બજાવતા ડૉક્ટરે અચાનક રાજીનામુ આપી દિધું, અને પછી તો જાણેકે હોસ્પિટલનું જ સ્વાસ્થ્ય બગડી ગયું.
અગાઉ આ હોસ્પિટલમાં એમબીબીએસ કક્ષાના ડોક્ટર સારવાર આપતા હતા, ગ્રામ્ય સ્તરે આવી સુવિધા નજીવા ખર્ચે મળે, તો સ્વાભાવિક છે કે તમામ લોકોને સાનુકૂળતા રહે. પણ હવે જ્યારે હોસ્પિટલમાંથી મુખ્ય તબીબ જ હાજર નથી, ત્યારે નર્સીંગ સ્ટાફ પોતાની આવડત મુજબ પ્રાથમિક સારવાર કરે છે. એટલે જો દર્દી વધુ બીમાર હોય તો મજબૂરીમાં 30 કિલોમીટર દૂર ધાનેરા અથવા તો રાજસ્થાનના સાંચોરની કોઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પડે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરના અચાનક રાજીનામા બાદ ગ્રામજનોએ નવી નિમણૂંક અંગે અનેક સ્તરે રજૂઆત કરી, પરંતુ કોઈ નક્કર પરિણામ હજુ સુધી આવ્યું નથી.
નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2021ના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા 951 છે, જ્યારે બિહારમાં 1480, કર્ણાટકમાં 2359, મધ્યપ્રદેશમાં 1146, મહારાષ્ટ્રમાં 1887, રાજસ્થાનમાં 2097 જ્યારે ઉત્તરપ્રદેશમાં 2227 છે. એટલે જ ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની સ્થિતિનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. ત્યારે સરકાર ગ્રામ્ય સ્તરે આરોગ્ય માળખુ વધુ સુદ્રઢ બનાવે તે જરૂરી બની જાય છે.