VHPના જનરલ સેક્રેટરી અશોક રાવલે કાર્યક્રમો અટકાવવા અપીલ કરતાં કહ્યું અસામાજિક તત્વો કાર્યક્રમમાં ઘુસીને શાંતિ ડહોળવા પ્રયાસ કરે છે સરકાર યોગ્ય તપાસ કરી રહી છે
હત્યા મામલે થતા નાના મોટા કાર્યક્રમો મૌકૂફ રાખવાનુ કર્યુ જાહેર
ધંધુકામાં થયેલી કિશન ભરવાડની વિધર્મીઓએ હત્યા કરી દીધી.અને આ હત્યાને કારણે રાજ્યભરના હિન્દુ સંગઠનોમાં રોષ છે.રાજ્યના અનેક શહેરોમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરવામાં આવી છે.VHP પણ અનેક કાર્યક્રમોની ગોઠવણમાં હતું પણ આજે છૂટાછવાયા બનેલા અનેક બનાવોને કારણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે હત્યા મામલે થતા નાના મોટા કાર્યક્રમો હિન્દુ સમાજ ન કરે સરકાર જે દિશામાં તપાસ કરી રહી છે તેમાં સાથ આપે.
અસામાજિક તત્વો કાર્યક્રમમાં ઘુસીને શાંતિ ડહોળવા પ્રયાસ કરે છે: VHP
ધંધુકા ફાયરિંગ વીથ હત્યા કેસ મામલે VHPના જનરલ સેક્રેટરી અશોક રાવલે કાર્યક્રમો અટકાવવા અપીલ કરી છે. તેમણે આ અંગે નિવેદન જાહેર કરતાં કહ્યું કે હત્યા મામલે થતા નાના મોટા કાર્યક્રમો મૌકૂફ રાખવામાં આવે, હિંદુ સમાજને અપીલ કરૂ છુ કે હાલ આંદોલન ન કરો કારણ કે સરકાર જે દીશામાં તપાસ કરી રહી છે તે કરવા દો અસામાજિક તત્વો કાર્યક્રમમાં ઘુસીને શાંતિ ડહોળવા પ્રયાસ કરે છે. ગુજરાતની શાંતિ જોખમાય નહી તે માટે તમામ હિન્દુ પ્રયત્ન કરવો જૉઇએ.
સંતો-મહંતોને પણ અનુયાયીઓને કરે અપીલ: અશોક રાવલ
વધુમાં VHPના જનરલ સેક્રેટરી અશોક રાવલે કહ્યું કે સંતો મહંતો અને હિંદુ સમાજે મૃતકના પરિવારને સહકાર આપ્યો છે ન્યાય જરૂર મળશે. સરકાર તરફથી ગૃહમંત્રી પણ રૂબરૂ જઈને આશ્વાસન આપ્યુ છે તેમજ તપાસ ઝડપી બનાવીને તાત્કાલિક આરોપીઓને પકડ્યા છે. ATSને તપાસ સોંપાતા ઘટનાના મૂળ સુધી પહોચવા સતત પ્રયાસ ચાલુ છે જેથી હિન્દુ સંગઠનો આગળ કાર્યક્રમ ન કરે સરકારને તપાસ કરવાનો મોકો આપે. સંતો-મહંતો પણ આગળ આવી લોકોને અપીલ કરે.
છોટાઉદેપુરમાં થયો હતો હુમલો
છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર થયેલા લોકો પર હુમલો થયો હતો.. છોટાઉદેપુરના રામજી મંદિરમાં લોકો એકઠા થયા હતા. જ્યાં રામધૂન અને હનુમાન ચાલિસા ચાલી રહી હતી. આ દરમિયાન 40થી વધુ લોકોના ટોળાએ પાઈપ અને હથિયારથી હુમલો કર્યો. આ મામલે પોલીસે 20 શખ્સો વિરુદ્ધ નામજોગ અને 40 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.બબાલને પગલે છોટાઉદેપુરની બજારો બંધ કરી દેવામાં આવી છે તેમજ ઠેર ઠેર પોલીસ પહેરો ગોઠવી ચાંપતો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે. VTV તમામ ગુજરાતીઓને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યું છે.
રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ
કિશન ભરવાડ હત્યા કેસને લઈને આજે રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. કલેક્ટરને તેઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. પરંતુ તે સમયે ત્યા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને તે રેલી બાદ લોકો દુકાનો પણ બંધ કરાવી હતી જેથી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ધાર્મિક સંગઠનો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરવામાં આવ્યો. કારણકે તેઓ રેલી કાઢીને ત્યા દુકાનો પણ બંધ કરાવી રહ્યા હતા.ઘટનાને પગલે પોલીસ દ્વારા રાયોટિંનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.