ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વખોડ્યો, કહ્યું- દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ઘટનાને વખોડી
આરોપીઓને ફાંસીની સજા આપવા કરી માંગ
ધંધૂકાના કિશન ભરવાડ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ઘટનાને જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વખોડી છે.
રાજભા ગઢવીએ ઘટનાને વખોડી
રાજભા ગઢવીએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ અને મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરી હતી કે હિંસક પ્રવૃત્તિઓ કરતા તત્વોને રોકવા જોઈએ.
દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવાની કરી અપીલ
રાજભાએ વધુમાં કહ્યું કે, કિશન ભરવાડે પોસ્ટ મુકવા બદલ માફી પણ માગી હતી તેમ છતાં તેમની હત્યા કરવામાં આવી તે ખરેખર વખોડવા લાયક બાબત છે. તો તેમણે બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ તેવી પણ માગણી ઉચ્ચારી હતી.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.
કંગના રણૌતે પણ આપ્યું છે નિવેદન
ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટર કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
ધંધૂકાના સ્થાનિકોએ અશાંતધારાની કરી છે માગણી
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. સ્થાનિકોએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા.
એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ
ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.