ધનબાદ જજ મોત મામલે સીબીઆઈએ વિસ્તૃત તપાસ અને ફોરેન્સિક રિપોર્ટને આધારે ઝારખંડ હાઈકોર્ટને જણાવી દીધું છે કે ધનબાદના જજને ડ્રાઈવરે જાણીજોઈને ટેમ્પોની ટક્કર મારીને ઉડાવી દીધા હતા.
28 જુલાઈએ ધનબાદના જજ ઉત્તમ આનંદની કોઈકે ટેમ્પો દ્વારા ટક્કર મારી હતી
તપાસ અને ક્રાઈમ સીનને રિક્રીએટ કર્યા બાદ તથા વીડિયો ફૂટેજની ચકાસણી તથા ઉપલબ્ધ ફોરેન્સિક પુરાવાઓને આધારે સીબીઆઈએ જણાવ્યું કે ઉત્તમ આનંદની જાણીજોઈને નિશાન બનાવાયા છે અને તેમની હત્યા કરી દેવાઈ છે.
સીબીઆઈએ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી
સૂત્રોના જણાવ્યાનુસાર પુરાવાના વિશ્લેષણને આધારે સીબીઆઈએ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી. રિપોર્ટ અનુસાર સીબીઆઈએ હાકોર્ટને જણાવી દીધું છે કે જજની જાણીજોઈને હત્યા કરી દેવાઈ છે. હાલમાં આ કેસની તપાસ અંતિમ તબક્કામાં છે.
બે આરોપીઓનું બ્રેઈન મેપિંગ અને નાર્કો એનાલિસિસ અથવા લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરાયો હતો
સીબીઆઈએ આ કેસની તપાસ કરવા માટે ગુજરાતના ગાંધીનગરમાં બે આરોપીઓનું બ્રેઈન મેપિંગ અને નાર્કો એનાલિસિસ અથવા લાઈ-ડિટેક્ટર ટેસ્ટ હાથ ધર્યો હતો. સીબીઆઈ આ પરીક્ષણોના રિપોર્ટનો પણ અભ્યાસ કરી રહી છે.
28 જુલાઈએ વહેલી સવારમાં ડ્રાઈવરે જજને ટેમ્પોની ટક્કર મારી હતી
તમને જણાવી દઈએ કે 28 જુલાઈના રોજ જજ ઉત્તમ આનંદ સવારે 5:00 વાગ્યે મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યા હતા. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે પત્ની કીર્તિ સિંહાએ રજિસ્ટ્રારને ફોન કરીને તેના વિશે જાણ કરી. રજિસ્ટ્રારે એસએસપી ધનબાદને જાણ કરી હતી. પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું અને જજની શોધ શરૂ કરી. થોડા સમય બાદ રણધીર વર્મા ચોક પાસે જજ ઘાયલ જોવા મળ્યા, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતને અગાઉ અકસ્માત તરીકે ગણવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હાઇકોર્ટે આ મામલે સંજ્ા લીધી હતી. 4 ઓગસ્ટના રોજ સીબીઆઈએ હાઈકોર્ટના આદેશ પર એફઆઈઆર નોંધાવી હતી. આ પછી, સીબીઆઈએ ઘટનાની માહિતી આપનારાઓને દસ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.