મનને શાંત રાખવા માટે અને વર્તમાન સાથે જોડવા તેમજ જે થઇ રહ્યું છે તે સ્વીકારવા માટે ઇન્ટરનેટ ઉપવાસનો કોન્સેપ્ટ જયપુરના લોકોને પસંદ પડી રહ્યો છે. અહીંની ગલતાની પહાડીઓની વચ્ચે એક એવું મેડિટેશન સેન્ટર છે, જ્યાં ડોક્ટરથી લઇને બ્યૂરોક્રેટ શાંતિ માટે ૧૦ દિવસનો કોર્સ કરી રહ્યા છે. સૌ મોબાઇલ, ઇન્ટરનેટ અને ભાગદોડ છોડવાનું વ્રત કરે છે. મૌન રહે છે. પરિવારજનો અને સંબંધીઓથી દૂર માત્ર ધ્યાન કરે છે.
આ શિબિરમાં ઇન્ટરવ્યૂનાં આધારે એડમિશન મળે છે. સવારના ૪ વાગ્યે ઊઠવું અને રાત્રે ૯ વાગ્યે સૂવું પડે છે. દિવસમાં ૧૦થી ૧૧ કલાક માત્ર ધ્યાન કરવામાં આવે છે. અહીં ૧૦ દિવસ અને ૮ દિવસના બે કોર્સ ચાલી રહ્યા છે. ઇન્ટરવ્યૂનાં આધારે એડમિશન થાય છે. ફી લેવામાં આવતી નથી. ૧૦ દિવસની શિબિર દરમિયાન લોકો મોબાઇલ, ઇન્ટરનેટ અને ભાગદોડ છોડવાનું વ્રત રાખે છે અને ધ્યાન ધરે છે.
આ ઘમ્મ-થલી વિપસ્યના મેડિટેશન સેન્ટર ગલતા ઘાટીમાં છે. ઘમ્મ-થલી મેડિટેશન સેન્ટરમાં હાલમાં ૨૯૦ લોકો ધ્યાન ધરી રહ્યા છે, જેમાં ૧૧૫ મહિલાઓ છે. સેન્ટરમાં મળેલી જાણકારી અનુસાર ૭૦ ટકા લોકોની ઉંમર ૩૫ની નજીક છે, સાથે ઇરાન-ઇરાક અને બ્રાઝિલ જેવા દેશમાંથી આવેલા ૩૫થી ૪૦ લોકો પણ છે. સેન્ટરમાં ૩૦૦ લોકોની કેપેસિટી છે. વ્યક્તિ માત્ર કપડાં લઇને આવે છે.
ખાવા-પીવા અને રહેવા માટે રૂમ અને અન્ય વ્યવસ્થા સેન્ટરમાં જ છે. સેન્ટરમાં રિટાયર્ડ જજથી લઇને બ્યૂરોક્રેટ, લેક્ચરર્સ જે અહીંથી પહેલાં કોર્સ કરી ચૂક્યા છે તેઓ ઇચ્છા અનુસાર સેવા આપે છે. શિક્ષકોની પેનલ જ કોર્સના સમયે આ લોકોનો સંપર્ક કરે છે અને ફ્રીમાં કોર્સ સંચાલિત કરાવે છે. એરિયા ઇન્ચાર્જ વિમલચંદ સુરાણાએ જણાવ્યું કે ધ્યાન કરવાથી ગુસ્સો, લોભ કે અન્ય અવગુણ દૂર થઇને સદ્ગુણ આવે છે. બાળકો માટે પણ શિબિર હોય છે અને તેનાથી મેમરી સારી થાય છે.