રાજ્યમાં સ્વદેશી ધમણ-1 વેન્ટિલેટર પર રાજકારણ ગરમાયું છે. રાજકોટના જ્યોતિ CNCના ધમણ વેન્ટિલેટરના મામલે વિવાદનો વંટોળ ફૂંકાયો છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આ અંગે વધુ એક સવાલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા અને આને એક કૌભાંડ ગણાવ્યું.
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ધમણ-1ને લઇને રાજકારણ
કોંગ્રેસે ટ્વિટ કરીને સરકાર પર લગાવ્યો આક્ષેપ
ભાજપ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ચૂકી છે
થોડા દિવસ અગાઉ ધમણ વેન્ટિલેટર મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. વેન્ટિલેટરને ખોટી રીતે સર્ટીફિકેટ આપ્યું હોવાનો દાવો કરાયો હતો. એટલું જ નહીં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીના મોત પાછળ ધમણ વેન્ટિલેટર પણ જવાબદાર હોવાનો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે એક ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે, આ સંપૂર્ણ-સુવિધાયુક્ત વેન્ટિલેટર ન હતું અને આ અંગે સરકારને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તો શા માટે ગુજરાત સરકાર દ્વારા આ મશીન લગાવવામાં આવ્યું?
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તા પર પ્રશ્ન ત્યારે ઉઠ્યાં જ્યારે સિવિલના સુપ્રિટેન્ડન્ટે જ ગુણવત્તાને લઈને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેન્ટિલેટર ધાર્યુ પરિણામ ન આપતું હોવાનો ઉલ્લેખ કરતા વિપક્ષે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. કોંગ્રેસે ધમણ-1ની ગુણવત્તા અને તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને યોગ્ય ન ગણાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
મહત્વનું છે કે, ધમણ-1 મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા હતા. જોકે ભાજપ દ્વારા આ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. કોંગ્રેસ હંમેશા વિવાદો ઉભા કરવામાં જ માનતી હોવાનો આરોપ લગાવ્યો હતા. તો નાયબ મુખ્યમંત્રી જણાવી ચૂક્યા છે કે, કોંગ્રેસ ખોટી વાતને સાચી સાબિત કરવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ધમણ-1 પર જે આક્ષેપો કર્યા તે માટે ખુલાસા કરી ચૂક્યા છીએ.