નવલી નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે. આજે દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા નિમિતે ઊંઝા ખાતે આવેલા ઉમિયાધામ મંદિરની મુખ્ય ધજા બદલવામાં આવી.
ઉમિયા માતાજીના મંદિરની મુખ્ય ધજા બદલવામાં આવી
દશેરા નિમિતે આજરોજ ધજા બદલવામાં આવી
વર્ષમાં માત્ર બે જ વખત બદલવામાં આવે છે ધજા
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાના મંદિરમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે તે માટે ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવે નવ દિવસ અગલ અલગ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. તો આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ઉમિયાધામ મંદિરની મુખ્ય ધજા બદલવામાં આવી
નવરાત્રીના નવ દિવસ દરમિયાન મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માઈભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો આજે દશેરા નિમિતે મંદિરની મુખ્ય ધજા બદલવામાં આવી હતી.
વર્ષમાં માત્ર બે જ વખત માતાજીની બદલવામાં આવે છે ધજા
એવું કહેવાય છે કે, વર્ષમાં માત્ર બે જ વખત માતાજીની ધજા બદલવામાં આવે છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જળવાઇ હતી. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય બન્યું હતું.