આપણો દેશ ચંદ્ર પર યાન ઉતરવાના દિવસો ગણી રહ્યો છે. આ દેશનાં વૈજ્ઞાનિકો મંગલ પર જીવનની શક્યતાઓ તપાસવા રાત દિવસ એક કરી રહ્યાં છે અને ઈન્ટરનેટે જ્ઞાન અને માહિતી ઘર ઘર સુધી સરળ આપ્યાં છે. છતાં પણ નવાઈની વાત તો એ છે કે, આ દેશમાંથી અંધશ્રદ્ધા દૂર થવાનું નામ નથી લેતી.
આંચકાજનક વાત એ છે કે, જે સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધાનાં વિરોધ કરતાં અંધશ્રદ્ધાને પોષનારાની સંખ્યા વધારે જોવાં મળી રહી છે. આજે વાત કરવી છે ઢબૂડી માતાની કે જેના ચરણોમાં અભણ લોકો જ નહીં ખુદ પોલીસ જવાનો પણ શ્રદ્ધા પૂર્વક શિશ ઝુકાવીને અંધશ્રદ્ધાને સમર્થન આપી રહ્યાં છે. ત્યારે જોઈએ આ અંગનો અહેવાલ.
તેમની આ વાત એ વાતની સાક્ષી પૂરે છે કે આપણે ત્યાં લોકો વિજ્ઞાન પર ભરોસો કરવા કરતા કહેવાતા બાવાઓ અને ભૂવાઓમાં વધુ શ્રદ્ધા ધરાવે છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરનાં રૂપાલ ગામનો સામે આવ્યો છે. આ રૂપાલ ગામમાં ઢબુડી માતાનું મંદિર આવેલું છે. જેનાં ચમત્કારોનો વીડિયો વાયરલ થયો. જેમાં ઢબુડી માતા લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનું નિવારણ લાવતા હોવાનાં દાવા કરવામાં આવે છે તેમજ ગમે તેવી બિમારીમાંથી પણ લોકોને સાજા કરતા હોવાનાં દાવા કરાય છે. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે VTVની ટીમ ગાંધીનગરનાં રૂપાલ ગામે પહોંચી અને ઢબુડી માતાનાં મંદિર વિશે હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઢબુડી માતાનાં મંદિરે હાલ તાળુ લગાવેલું છે.
જો કે, ઢબુડી માતાનાં મંદિરની બાજુમાં રહેતા પાડોશીએ આ સમગ્ર મામલે પર્દાફાશ કર્યો. તેમની પાસેથી જાણવા મળ્યું કે, રૂપાલ ગામમાં રહેતો ધનજી ઓડ નામનો શખ્સ પોતાનો ઢબૂડી માતાનો વેશ કાઢી દરબાર ભરે છે તેમજ ધનજી ઓડનાં માણસો જ ચમત્કારનાં ખોટા વીડિયો બનાવીને વાયરલ કરવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવે છે અને ચમત્કાર થયો હોવાની ખોટી વાતો કરી લોકોને ભોળવે છે.
ધનજી માતાજીનો ડર લોકોને બતાવતો હતો અને ઘતીંગ કરતો. પોતે ચૂંદડી ઓઢીને માતાજીને નામે અંધશ્રદ્ધાળુઓને ભોળવાનું કામ કરે છે. આયોજનપૂર્વક ધનજી ઓડને તેનાં જ માણસો મોટી ગાડીઓ લઈને મળવા આવતો હતાં અને સામાન્ય નાગરિકો આ બધું જોઈને અંજાઈ જાય છે. તો આ બીજી તરફ આ સમગ્ર મામલે રૂપાલ ગામનાં તલાટીએ પણ ઢબુડી માતાનાં ધતિંગ મુદ્દે લેખિત ફરિયાદ કરી છે. તલાટી કેતન પટેલે ગાંધીનગર SP કચેરી અને ગૃહ વિભાગને પત્ર લખ્યો હોવાનો જણાવ્યું હતું.
આપને થશે કે આ વળી સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવીને પોતાનું ઘર ભરનારી આ ઢબૂડી માતા કોણ છે? તો ચાલો અમે તમારી શંકાનું સમાધાન કરી દઈએ. આ ઢબૂડી માતા તરીકે ઓળખાતા ધનજી ઓડ અને તેની મંડળીએ એવી તો આભા ઊભી કરી છે કે, લોકો અંજાઈ જાય છે. જે ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાન, વિજ્ઞાનનાં પ્રસાર માટે થવો જોઈએ તેનો ઉપયોગ ઢબૂડી માતાની મંડળી અંધશ્રદ્ધાનો ફેલાવો કરવામાં ગજબની મહારત ધરાવે છે. કેમ કે, તેમને સમર્થન આપનારા અંધશ્રદ્ધાળુઓનો અહીં તોટો નથી અને આ તેનું જ પરિણામ છે કે ફૂલ ટાઈમ અંધશ્રદ્ધા ફેલાવનારા ધનજી ઓડ ઉરફે ઢબૂડી માતા ચાંદખેડામાં વૈભવી નિવાસસ્થાન ધરાવે છે.
આ વાતથી સરકારનાં મંત્રીઓ અજાણ છે એવું નથી. પરંતુ આસ્થાનું મહોરું પહેરાવીને કોઈ આટલા મોટા જનસમૂહને અંધશ્રદ્ધાની ખાઈ તરફ જતા બચાવા માગતા નથી. કદાચ તેમને કોઈ મોટા સમૂહની નારાજગી સહન કરવાનો ડર સતાવતો હશે. મંત્રી ગજાના લોકો પણ અંધશ્રદ્ધાના આ ખેલની ટીકા કરતા ડરે છે. જ્યાં આટલો મોટો જનસમૂહ અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ રહ્યો હોય. જ્યાં આટલો મોટા જનસમૂહના દુખડા દૂર કરવાના કોઈ એક વ્યક્તિ દાવા કરી રહ્યો હતો. જ્યાં સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભરમાવવાનું એક સુવ્યસ્થિત રેકેટ ચાલતું હોય ત્યાં સરકારને એમ લાગે છે કે, આ બધા ધતિંગ બંધ કરાવવાની જવાબદારી સામાજિક સંસ્થાઓની છે. તો તો પછી આ દેશને અને તેની જનતાને ભગવાન જ બચાવે.