ગાંધીનગરઃ લોક રક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસના વડાએ દાવો કર્યો છે કે પેપરલીક કાંડના ગુનેગારો અમારા હાથમાં છે. પેપર લીક થયાના 5 કલાકમાં જ DGP શિવાનંદ ઝાએ એવો દાવો કર્યો છે કે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે ત્યાં સુધી અમારી પહોંચ છે. લોકરક્ષક દળની પરીક્ષાનું જ પેપર લીક થઈ જતા આ સમગ્ર મામલો પોલીસની શાખ સુધી આવી પહોંચ્યો છે.
પોલીસ ભરતી બોર્ડ જ આ પરીક્ષા યોજી રહ્યું હતું તેવા સમયે પેપર લીક થયું તે રાજ્ય માટે પણ શરમનો વિષય બની ગયો છે. છ હજાર લોકરક્ષકોની ભરતી માટે જ્યારે બોર્ડે જાહેરાત કરી તો ગુજરાતમાંથી સાડા આઠ લાખ વિદ્યાર્થીઓએ લોકરક્ષક થવામાં રસ દાખવ્યો અને મોટા પ્રમાણમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.
જ્યારે પરીક્ષા હતી તેના બે કલાક પહેલા જ એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે લોકરક્ષકની આજે યોજેલી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી જિલ્લા અને તાલુકા કેન્દ્રો પર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જો કે રાજ્યમાં પહેલીવાર એવો કોઈ ગુનો બન્યો છે જેની તપાસમાં ગુજરાતની અંદર જ તપાસમાં એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ અને ક્રાઈમબ્રાંચ સાથે જોડાઈ હોય. જો કે વિદ્યાર્થીઓએ માગ કરી છે કે આ મામલાની તપાસ SIT દ્વારા થવી જોઈએ.