બોટાદના લઠ્ઠાકાંડ મામલે કેમિકલને લઇને DGP આશિષ ભાટિયાએ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું કે, 'ગામના લોકોએ દારૂ નહીં કેમિકલ પીધું છે.'
લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટિયાનો મોટો ખુલાસો
ગામના લોકોએ દારૂ નહીં પરંતુ કેમિકલ પીધું: DGP
કેમિકલમાં પાણી મિક્સ કરીને દારૂની રીતે વેચવામાં આવતું: DGP
બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરતા જણાવ્યું કે, 'બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે. ગામના લોકોએ દારૂ નહી પરંતુ કેમિકલ પીધું. આ ઘટનામાં જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ કે જે અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરે છે. AMOS કોર્પોરેશન નામની જે કંપની છે ત્યાં મિથાઇલ આલ્કોહોલના બેરલ તે ગોડાઉનમાં મૂકે છે અને મિથાઇલ આલ્કોહોલના બેરલમાંથી અઢી લિટરની બોટલ બનાવવામાં આવે છે. કે જે ચાંગોદરની ફિનાર્ક નામની જે ઓરિજનલ કંપની છે ત્યાં એ અઢી-અઢી લિટરના કેમિકલ બનાવીને મોકલવામાં આવે છે.'
ડીજીપીએ કહ્યું કે, 'જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું. જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું. હાલમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 2 લોકોના મૃત્યુ શંકાસ્પદ છે. 2 લોકોના PM રિપોર્ટ જાણ કરવામાં આવશે.'
કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું
વધુમાં DGPએ જણાવ્યું કે, 'આ ઘટનામાં 24 કલાકની અંદર ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. મોટા ભાગના આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તેમજ FIR પર રજિસ્ટર કરવામાં આવી છે. કેમિકલ મિથાઇલ આલ્કોહોલમાં કુલ 460 લિટર કેમિકલ પણ કબજે કરવામાં આવ્યું છે. એ કેમિકલ પૈકી તેમાંથી સેમ્પલ લઇને તેને FSLમાં પણ મોકલવામાં આવ્યા છે. FSLની મદદથી તેમના બ્લડ સેમ્પલ પણ રાત્રે જ ગાંધીનગર મોકલવામાં આવેલા તેમજ કેમિકલને પણ મોકલવામાં આવેલું. જેમાં આ મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ સામે આવ્યું છે. કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું છે.'