ચાર ધામ યાત્રા 2019 શરૂ થવાની તૈયારી છે અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ પવર્તી ગયો છે. આ યાત્રા દેશની ચાર પવિત્ર નદીઓ યમુના, ગંગા, મંદાકિની અને અલકનંદાની યાત્રા છે. આ નદીઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ આગળથી ખળખળ વધે છે. યાત્રીઓ પોતાની આદ્યાત્મિક યાત્રા પૂર્ણ કરવા માટે આ ચારેય સ્થળની મુલાકાત લે છે. એવુ માનવામાં આવે છે કે ચાર ધામની યાત્રા જન્મ મૃત્યુના ચક્કરમાંથી વ્યકિતને છૂટકારો અપાવી દે છે. દરેક હિંદૂની ઇચ્છા હોય કે જીવનમાં એક વખત ચારધામ યાત્રા કરવાનો મોકો મળે.
ઉત્તરાખંડ ટૂરિઝમે ચારધામનું શિડ્યુલ બહાર પાડ્યું છે. આ શિડ્યુલ મુજબ યમનોત્રીની યાત્રા 7 મે, ગંગોત્રી 7 મે, કેદારનાથ 9 મે અને બદ્રીનાથની યાત્રા 10 મેથી શરૂ થશે. ચારે જગ્યાઓનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. યમુનોત્રી માતા યમુનાનું ઉદ્ભવ સ્થાન છે. ગંગોત્રીમાંથી ગંગા નદી ઉદ્ભવે છે. કેદારનાથ શિવજીનું નિવાસસ્થાન છે જ્યારે બદ્રીનાથ વિષ્ણુ ભગવાનને સમર્પિત યાત્રાધામ છે.
આ ચારેય ધામ ખૂબ જ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા છે. આથી મે મહિનો ચારધામની મુલાકાત માટે આદર્શ સમય છે. આ સમયે બરફ પીગળી જાય છે અને સુરક્ષિત ચઢાણ માટે રસ્તા બનાવી દેવાય છે. જોકે યાત્રીઓએ એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે આ યાત્રા ઘણી મુશ્કેલ છે.
આ ટ્રિપની સૌથી યાદગાર વાત એ છે કે તમે પશ્ચિમથી શરૂ કરો અને પૂર્વમાં પહોંચશો. યાત્રા પૂરી કરવાનો ક્રમ છે: યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ.