ગુજરાતીઓને ફરવા અને ખાવાના શોખીન માનવામાં આવે છે. આ વિકેન્ડમાં ઑફિસ કે કામ પર એક દિવસની રજા મળે ત્યારે એક એવી જગ્યાએ પિકનિક પર જાઓ જ્યાં તમને આરામથી ફ્રેશ થઇ જશો.
જી હા અમે વાત કરી રહેલા પોઇચા ગામ ખાતે આવેલા નિલકંઠ ધામની.. વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર આવેલું આ સ્વામિનારાયણ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરની વાસ્તુકલા ખરેખરમાં વખાણવાલાયક છે. અહીં મંદિરમાં આરતીના સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.
લગભગ 105 એકરમાં ફેલાયેલા આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. આ સમગ્ર મંદિર નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે જેની વચ્ચે શિવલિંગ ગણેશજી હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે.
108 ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીના જળમાં સ્નાન કરનારા શ્રદ્ઘાળુઓની ભીડ સવારથી લઇને સાંજ સુધી હોય છે. અહીં મંદિરની બાજુમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ આવેલુ છે. તો તમે નર્મદા નદીમાં નાહવાનો આનંદ પણ લઇ શકો છો.
દર્શન ઉપરાંત તમે અહીં આવીને નેચર પાર્ક એક્ઝીબિશન લાઈટ એન્ડ સાઉન્ડ શો ટનલ ઑફ યમપુરી ફ્લાવર ક્લોક આર્ટ ગેલેરી અને હોરર હાઉસ જેવી અન્ય વસ્તુઓ પણ એન્જોય કરી શકો છો.
અમદાવાથી પોઈચા નીલકંઠધામ 169 કિલોમીટર દૂર આવેલું છે. કાર દ્વાર તમે માત્ર પોણા 3 કલાકમાં પોઇચા પહોંચી જશો. ઉપરાંત નજીકનું રેલ્વે સ્ટેશન રાજપીપળા છે. અહીંથી તમે 12.5 કિમીની મુસાફરી પ્રાઈવેટ વાહનમાં કરીને ત્યાં પહોંચી શકો છો.