ગંગા આરતીનુ એક ખાસ મહત્વ રહ્યુ છે. એમાં પણ ખાસ કરીને હરિદ્વારની ગંગા આરતીનો લ્હાવો એક વખત માણવા જેવો છે. પરંતુ આટલી વિશાળ ગંગા નદી માત્ર હરિદ્વાર જ નહીં અન્ય શહોરોમાંથી પણ પસાર થતી હોવાને કારણે ત્યાં પણ પરંપરા અનુસાર, આરતી કરવામાં આવે છે. આ શહેરોમાં હરિદ્વાર સિવાય, ઋષિકેશ, પ્રયાગરાજ, વારાણસીનો સમાવેશ થાય છે. દેવભૂમિ ઉત્તરાખંડ સિવાય પણ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીની પૂજા કરવામાં આવે છે.
હરિદ્વાર:
હરિદ્વારમાં સવાર અને સાંજ બંને સમયે આરતી થાય છે. પરંતુ, સંધ્યા આરતીનું ખાસ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આરતીના દર્શન માટે આવે છે. આરતીના સમયે આ જગ્યાનો નઝારો પણ જોવા જેવો હોય છે. ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે ગંગા આરતી કરવામાં આવે છે. જ્યારે આરતી થાય છે ત્યારે ગંગા નદીનો શાંત થઇ જાય છે. આ સમયે અવિરત રહેતી ગંગા થોડા સમયે વિરામ લઈને આરતીને સ્વીકારે છે. ત્યાર બાદ ફરીથી વહેવાનું શરૂ કરી દે છે.
વારાણસી:
વારાણસીને દુનિયાનું સૌથી પ્રાચિન શહેર માનવામાં આવે છે. કહેવાય છે કે, સુરતનુ જમણ અને કાશીનુ મરણ મળે તો ધન્ય થઇ જવાય. આ સિવાય પણ વારાણસીમાં ગંગા આરતી કરવી પણ એક લ્હાવા સમાન છે. અહીં પાંચથી સાત પૂજારીઓ એક સાથે મંત્રોચ્ચાર સાથે આરતી કરે છે. ઢોલ-નગારા અને આરતી સાથે ગંગાની પૂજા કરવામાં આવે છે.
ઋષિકેશ:
પહાડની વચ્ચેથી વહેતી ગંગાની આરતી માણવી એક અલગ જ અનુભૂતિ કરાવે છે. બંને તરફ પહાડ અને વચ્ચેથી વહેતી ગંગા નદી આરતી વખતે એક અનોખા રૂપમાં જોવા મળે છે. ઋષિકેશને યોગીઓનુ શહેર કહેવામાં આવે છે. હરિદ્વારની હરકી પૌડીની સાથોસાથ ઋષિકેશમાં ગંગા નદીની આરતી કરવામાં આવે છે. પરમઠ નિકેતન આશ્રમ તરફથી આ ગંગા આરતી કરવામાં આવે છે. સામેની તરફ બેસીને આ આરતી નિહાળી શકાય છે. અનોખા વાઇબ્રેશન ફિલ કરી શકાય છે.
પ્રયાગરાજ:
તાજેતરમાં જ અહીં કુંભમેળાની પૂર્ણાહુતી થઈ હતી. ત્યાં પણ અનેક સાધુ-સાધકો અને સંસારીઓએ ગંગામાં ડૂબકી લગાવીનું પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. પ્રયાગરાજમાં નહેરું ઘાટ પર બેસીને અથવા સરસ્વતી ઘાટ પર બેસીને ગંગાની આરતી કરવી કે જોવી એક લ્હાવા સમાન છે. આ સિવાય અહીં ત્રિવેણી સંગમ પણ માણવા જેવો છે. જ્યાં 3 નદીના પાણી ભેગા થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી.