આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી દસ દિવસના ગણેશ મહોત્સવનો આરંભ થઇ રહ્યો છે, મહારાષ્ટ્રના આ મુખ્ય પર્વની હવે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઠેર ઠેર નવરાત્રિની જેમ પંડાલો ઉભા કરવામાં આવે છે.
ગણપતિ ઉત્સવના પ્રારંભે જાણીએ સૌરાષ્ટ્રના એક એવા અનોખા ગજાનન મંદિરની કહાની જે જાણીને આશ્ચર્ય થશે. સામાન્ય રીતે ગણેશજીનું વાહન મૂષક હોય છે ગજાનન હમેંશા મૂષક પર સવાર હોય એ મુદ્રામાં જ તસવીરો જોવા મળે છે પણ સૌરાષ્ટ્રમાં ઉપલેટા નજીક ઢાંકનું સિદ્ધિ વિનાયક મંદિરમાં કોઈ પ્રવેશ કરે તો ગજાનનને સિંહ પર સવાર જોઈને આશ્ચર્ય ચકિત થઇ જાય છે, ગણેશજીનું આવું રૂપ ક્યાંય પણ જોવા મળતું નથી.
શું છે ઈતિહાસ ?
ઢાંકનું સિદ્ધિ વિનાયક મંદિર હજારો વર્ષ પુરાણું છે, મંદિરના પૂજારી ભારતગીરી ગોસ્વામી કહે છે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને ગણપતિ દાદાની અહીં પૂજા કરી હતી. આ મંદિરમાં મૂષક નહીં પણ સિંહ પર દાદાની સવારી છે. આ મંદિરની બીજી એક વિશેષતા એ છે કે ગણેશજીની સૂંઢ ડાબીને બદલે જમણી બાજુ છે આવું ભાગ્યે જ જોવા મળે છે.
ભાવિકો પોસ્ટકાર્ડ લખે છે તે ગજાનનને સંભળાવવામાં આવે છે
ઢાંકના આ મંદિરની એક મહત્વની વિશેષતા એ છે કે, ભાવિકો ગણેશજીને પોસ્ટકાર્ડ લખે છે એ પોસ્ટકાર્ડ પૂજારી લઈને ગણેશજીના કાન પાસે જઈને સંભળાવે છે. ભાવિકોની મનોકામના હોય તે પોસ્ટકાર્ડમાં ગણેશજી પાસે વ્યક્ત કરે છે. રોજ મંદિરને સરનામે પોસ્ટકાર્ડ મળતા રહે છે.
કેવી રીતે પહોંચવું આ મંદિરે
લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર આ મંદિર છે, માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ નહીં રોજ ભાવિકો આ પૌરાણિક મંદિરે ગુજરાતભરમાંથી આવે છે. મંદિરે દર્શન અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. ઉપલેટાથી કોલકી થઈને આ મંદિરે જઈ શકાય છે. ગજાનન મંદિર નજીક જ વિખ્યાત ગાયત્રી મંદિર-ગધેથડ પણ આવેલું છે.