ધર્મ એ સદાચાર અને અહિંસાનાં પાયા પર ઊભો હોય છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ હિંસા આચરાય છે ત્યારે ધર્મનો ધ્વજ નીચો નમી જાય છે. જીવદયા એ ધર્મનું અભિન્ન અંગ છે અને ધર્મની પૂર્વ શરત પણ છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ જીવદયા પ્રેમી પર શંકાનાં આધારે હુમલો કરાય છે ત્યારે આ માન્યતાનો છેદ ઊડી જાય છે. તો કયાં જીવદયાપ્રેમી કયાં બન્યાં હુમલાનો ભોગ જોઈએ આ અહેવાલમાં.
બદલાતા સમયમાં અને ધર્મ વિશે બદલાતાં ખ્યાલોમાં અનેક ધાર્મિક સંસ્થાઓનાં વિવાદો સામે આવતાં રહે છે. ત્યારે અમદાવાદમાં માનસી સર્કલ સ્થિત સ્વામિનારાયણ મંદિરનાં પરિસરમાં ઘટેલી એક ઘટનાને કારણે મંદિર ફરી વિવાદમાં સપડાયું છે. આમ જોઈએ તો ઘટના જો રોડ પર બની હોત તો તેની વધુ નોંધ ન લેવાત. પરંતુ વિવાદનું સ્થળ અને વિવાદનું કારણ જોતાં આ ઘટના માત્ર પોલીસ ચોપડે જ નહીં પરંતુ માધ્યમોનું પણ ધ્યાન ખેંચે તેવી છે.
અમદાવાદનાં વસ્ત્રાપુરનાં માનસી સર્કલ સ્થિત સ્વામિનારાયણ મંદિરનાં પરિસરમાં સર્જાયેલાં વિવાદનું કારણ કોઈની જીવદયા જ બની ગયું. હાં તમને નવાઈ લાગશે કે મંદિર પરિસર અને જીવદયા બન્ને વિવાદનું કારણ હોઈ શકે? પરંતુ હા વાત સાચી છે. તસ્વીરમાં દેખાતી આ મહિલાનું નામ અનુરાધા સિંઘવી છે. તેઓ પોતે પણ વસ્ત્રાપુરમાં જ રહે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનાં સંચાલન દ્રારા ઘાયલ અને બીમાર કૂતરાઓની સેવા કરે છે.
તેઓ કૂતરાઓને પોષણક્ષમ આહાર અને દવાઓની પણ વ્યવસ્થા કરે છે. આ સેવા તેઓ ઘણાં સમયથી કરી રહ્યાં છે. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે માનસી સર્કલ સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસરમાં કૂતરાનાં બે બચ્ચા ચાલી શકતા નથી તો તેઓ સ્વામિનારાયણ મંદિરનાં પરિસરમાં બીમાર કૂતરાઓની સારવાર માટે ગયા તો તેમને મંદિર પરિસરમાં જ કથિત હરિભક્તો દ્વારા જ કડવો અનુભવ થયો.
અહીં કહાની પૂર્ણ નથી થતી. કૂતરાની સારવાર માટે મંદિર પરિસરમાં આવેલા અનુરાધાબેન અને તેમની દીકરી સાથે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જ કહેવાતા હરિભક્ત મહિલાઓ અને પુરુષો દ્વારા ઝપાઝપી કરવામાં આવી. એક તરફ એકલી જીવદયા પ્રેમી મહિલા અને બીજી તરફ કેટલાંક ભક્તજનો જેમણે મહિલાને ઘેરી લીધી અને તેની સાથે મારામારી પર ઉતરી આવ્યાં. અહીં ઝપાઝપીનો વીડિયો આ સમગ્ર ઘટનાનો અંશ માત્ર છે.
પરંતુ આ મહિલાને જે માર મારવામાં આવ્યો અને તેને જીવ બચાવવા નાસી જવું પડ્યું, તે આખો ઘટનાક્રમ જે મોબાઈલમાં કેદ થયો હતો તે મોબાઈલ પણ ભક્તજનો દ્વારા ઝૂંટવી લેવામાં આવ્યો છે. તેથી તે દ્રશ્યો દર્શાવી શકાયાં નથી. આ મહિલાને કેવી રીતે માર મારવામાં આવ્યો હશે તેનો પુરાવો આ મહિલાનાં હાથ પર પડેલા ઈજાનાં નિશાન જોતાં જ ખબર પડી જશે અને તેની આપવીતી પણ તમને ઘણું કહી દેશે.
આ ઘટનાએ જ્યાં અનેક જીવદયા પ્રેમીઓને આંચકો તો આપ્યો જ છે સાથે કથિત હરિભક્તોનો આંચળો પણ ઉતારી નાખ્યો છે. જો કે, આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને એફઆઈઆર તો નોંધી જ છે પરંતુ તે પણ અનેક ગલ્લા તલ્લા બાદ. ત્યાર બાદ હવે આ ભોગ બનનાર મહિલાને ન્યાય ક્યારે મળે છે તે જોવાનું રહ્યું.