મહારાષ્ટ્ર જાણે રાજકારણમાં નવા સમીકરણને લઇને હાલ જોરશોરથી ચર્ચામાં છે. સૌ પહેલા ભાજપ-શિવસેના ગઠબંધન તૂટી ગયું. ત્યારબાદ મહારાષ્ટ્રમાં નવા સમીકરણ સાથે મહા અઘાડી ગઠબંધનનો ઉદ્દભવ થયો. જેમાં ક્યારેય કોઇ વિચારી ન શકે તેવા ત્રણ પક્ષો એકસાથે જોડાયાં. જેમાં શિવસેના-NCP-કોંગ્રેસનું નવુ ગઠબંધન રાજ્યમાં રચાયું. હાલ મહારાષ્ટ્રમાં મહા અઘાડી ગઠબંધનની સરકાર બની. જો કે હવે ફરી મહારાષ્ટ્રમાં નવા ગઠબંધનના અણસાર જોવા મળી રહ્યાં છે. જેમાં શિવસેનાથી દૂર થયેલ ભાજપ સાથે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના જ ભાઇ રાજ ઠાકરે ભાજપ સાથે નવા-જૂની કરવાની તૈયારીમાં છે.
મહારાષ્ટ્રમાં રચાવા જઈ રહ્યા છે નવા સમીકરણો
દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે સાથે થઈ મુલાકાત
એકબીજાથી દૂર રહેતા નેતાઓ વચ્ચે યોજાઈ મુલાકાત
મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. બંનેની બેઠક લગભગ દોઢ કલાક ચાલી. આ મુલાકાત બાદ હવે મહારાષ્ટ્રમાં નવા રાજનીતિક સમીકરણની ચર્ચાઓ ચાલી રહી છે.
બંને નેતાઓ વચ્ચે આટલી લાંબી વાતચીત બાદ હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ ‘મનસે’ સાથે હાથ મિલાવી શકે છે. આ સાથે અટકળો એ માટે પણ લગાવવામાં આવી રહી છે કેમકે શિવસેના હવે ભાજપથી અલગ થઈ ચુક્યું છે અને તેને મહારાષ્ટ્રમાં ગઠબંધનનાં દળો એટલે કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી સાથે મુકાબાલા માટે ‘મનસે’ની જરૂર પડી શકે છે.
મહારાષ્ટ્રનાં પાલઘરમાં થનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી દરમિયાન ત્યાં કેટલાક બેનર લાગ્યા હતા, જેમાં ‘મનસે’ અને ભાજપની નજીકતા જોવા મળી હતી. પાલઘરમાં જે બેનર લાગ્યા હતા તેમાં પીએમ મોદી અને ‘મનસે’ અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા હતા. રાજ ઠાકરે 23 જાન્યુઆરીએ એક મોટી જનસભા સંબોધવાના છે ત્યારે આ દરમિયાન તેઓ મોટું એલાન કરી શકે છે.
સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી મુજબ મનસે દ્વારા યોજાઇ રહેલી 23 જાન્યુઆરીની એક મોટી જનસભામાં પોતાની પાર્ટીનો ઝંડો (ફલેગ) બદલવાની જાહેરાત કરાય તેવી શક્યતા છે. પાર્ટીનો નવો ઝંડો પૂર્ણ રીતે કેસરિયો હશે જેના પર છત્રપત્રિ શિવાજી મહારાજનો ફોટો જોવા મળી શકે છે.