મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા કોર્પોરેટર્સને તેમના બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ અપાઈઃ સોસાયટીના આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી-ગટર અને લાઇટનાં કામોમાં વેગ આવશેઃ ભવિષ્યમાં CCTV કેમેરા પણ મુકાવી શકાશે
ખિસ્સામાંથી ખાસ નાણાં કાઢવાં નહીં પડે
કોર્પોરેટર્સને બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ
ખાનગી ફ્લેટ-સોસાયટીઓને મળશે આ મોટો લાભ
મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા કોર્પોરેટર્સને તેમના બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ અપાઈઃ સોસાયટીના આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી-ગટર અને લાઇટનાં કામોમાં વેગ આવશેઃ ભવિષ્યમાં CCTV કેમેરા પણ મુકાવી શકાશે
ખિસ્સામાંથી ખાસ નાણાં કાઢવાં નહીં પડે
ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હવે ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો વગેરેમાં જનભાગીદારીથી કરાતાં વિવિધ કામોમાં ભરવાપાત્ર ૨૦ ટકા લોકફાળો કોર્પોરેટર પણ આપી શકશે એટલે કે ૭૦ : ૨૦ : ૧૦ની સ્કીમમાં ૭૦ ટકા રાજ્ય સરકાર, ૨૦ ટકા લોકફાળો અને ૧૦ ટકા કોર્પોરેશનના ફંડ પૈકી કોર્પોરેટર કે ધારાસભ્યની ગ્રાંટમાંથી પૂરેપૂરા ૨૦ ટકા આપવાની છૂટ મળતાં ખાનગી સોસાયટીઓને આ સ્કીમ હેઠળ મળનારી સુવિધાઓ લગભગ 'મફત'માં મળશે. જે તે મોટી ખાનગી સોસાયટીના નાગરિકો સિવાયના લોકોને પોતાની સોસાયટીમાં આંતરિક સુવિધાઓનાં કામ માટે ખિસ્સામાંથી ખાસ નાણાં કાઢવાં નહીં પડે.
કોર્પોરેટર્સને બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ
શહેર ભાજપના શાસકો દ્વારા લગભગ બે મહિના પહેલાં એક ઠરાવ પસાર કરીને રાજ્ય સરકારને મોકલાવાયો હતો, જેમાં ૭૦:૨૦:૧૦ કહો કે ૮૦:૨૦ ગણો પણ સોસાયટીઓમાં લોકભાગીદારીથી થતાં સોસાયટીલક્ષી સુવિધાનાં કામોમાં ધારાસભ્યોની જેમ કોર્પોરેટર્સ તેમના સ્વબજેટમાંથી ૨૦ ટકા ગ્રાંટ ફાળવી શકે તેવો નીતિવિષયક નિર્ણય લીધો હતો. આ ઠરાવના આધારે રાજ્ય સરકારે ધારાસભ્ય ઉપરાંત કોર્પોરેટર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય પણ ૨૦ ટકા લોકફાળો આપી શકશે તેવો સર્ક્યુલર પ્રસિદ્ધ કર્યો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ દિશામાં સર્વપ્રથમ વાર નીતિવિષયક પહેલ કરાતાં રાજ્ય સરકારે પણ તેને વધાવી લીધી હતી.
ખાનગી ફ્લેટ-સોસાયટીઓને મળશે આ મોટો લાભ
હવે ગઈ કાલે મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે ખાસ પરિપત્ર પ્રસિદ્ધ કરીને ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને અન્ય રહેણાક વિસ્તારના લોકોને વધુ લાભ મળી શકે તેવા શાસકોના આશયને લીલી ઝંડી આપી દીધી છે, જે મુજબ ખાનગી સોસાયટીનો ૨૦ ટકા લોકફાળો કોર્પોરેટર પણ ઉઠાવી શકશે એટલે ખાનગી સોસાયટીએ ભોગવવાનો તમામ ૨૦ ટકા ફાળો કોર્પોરેટર તેમને દર વર્ષે અપાતા રૂ.૩૦ લાખના સ્વબજેટમાંથી આપી શકનાર હોઈ આ સ્કીમનો લોકો દ્વારા હવે મહત્તમ લાભ ઉઠાવી શકાશે.
આ સ્કીમ હેઠળ લોકોનાં વધુ કામ થઈ શકશે
આ સ્કીમ હેઠળ ઘરદીઠ રૂ. ૨૫ હજારની મહત્તમ ગ્રાંટ આપવાની જોગવાઈ છે એટલે ફ્લેટ વિસ્તારમાં મકાનો વધુ હોઈ ત્યાં વધુ ને વધુ લાભ મળી શકશે, જોકે મોટા બંગલા ધરાવતી સોસાયટીઓમાં ઓછાં મકાનના કારણે અમુક અંશે તકલીફ પડી શકે છે. તેમ છતાં અગાઉ કોર્પોરેટર રૂ. ત્રણ લાખ સુધીનો ખર્ચ કરી શકતા હતા તેના બદલે હવે વધુ નાણાં ફાળવી શકશે એટલે કે લોકોનાં વધુ કામ થઈ શકશે.
ભવિષ્યમાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે
તંત્ર દ્વારા ખાનગી સોસાયટીઓમાં આરસીસીના રોડ, પેવર બ્લોક, પાણી-ગટરની લાઇન અને લાઇટના થાંભલા વગેરેનાં કામ કરી આપવામાં આવે છે, જે પૈકી મોટા ભાગની સોસાયટીઓ આરસીસીના રોડના કામને વધુ મહત્ત્વ આપે છે. તેમ છતાં તેમાં પ્રતિમીટર રૂ. ૧૫૦૦નો ભાવ હોઈ કેટલીક સોસાયટીઓ ખર્ચ ઓછો કરવા પેવર બ્લોક નખાવે છે. તેનો ભાવ પ્રતિમીટર રૂ. ૧૦૦૦નો છે. સોસાયટીનાં આ કામોમાં ભવિષ્યમાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.
ખાનગી સોસાયટીના આંતરિક વિકાસનાં કામોમાં વધુ ઝડપ આવશે.
જે તે ખાનગી સોસાયટીના સભ્યો પૈકી ૫૦ ટકા સભ્યોએ તેમનો પ્રોપર્ટી ટેક્સ ભરેલો હોવો જોઈએ, કામને લગતો સોસાયટીમાં ઠરાવ પસાર થયેલો હોવો જોઈએ, નકશો તેમજ સ્થાનિક વોર્ડ ઓફિસમાં લેખિત રજૂઆતના આધારે ઈજનેર વિભાગ આરસીસી રોડ, પેવર બ્લોક વગેરેને લગતી કામગીરી હાથ ધરે છે તેમજ કામનો અંદાજ તૈયાર કરીને જે તે સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને તેમના ૨૦ ટકા લોકફાળાની વિગત પાઠવે છે. આ વિગતના આધારે સ્થાનિક કોર્પોરેટર હવે ૨૦ ટકા લોકફાળાનો પત્ર તંત્ર સમક્ષ રજૂ કરી શકશે એટલે સોસાયટીઓના આંતરિક વિકાસનાં કામોમાં વધુ ઝડપ આવશે.