દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગમાં રાખવામાં આવી છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે.
રાજકોટમાં દેવાયત ખવડની જામીન અરજીનો મામલો
દેવાયત ખવડ મામલે કોર્ટ દ્વારા જામીન અરજી રખાઈ પેન્ડિંગ
દેવાયત ખવડને જામીન મળવામાં લાગી શકે છે વાર
મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયતત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. મહત્વનું છે કે મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલ હવાલે છે.
દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો ?
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ પક્કડથી દૂર હતો દેવાયત ખવડ
હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. મહત્વનું છે કે હાલ દેવાયત ખવડ અને તેના સાથીઓ જેલમાં છે.