બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હજારો વિદ્યાર્થીઓ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના બિલ્ડીંગ બહાર વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરમાં હોબાળો થતાં પોલીસે 50થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત 700થી વધારે પોલીસ જવાનોને ગાંધીનગરમાં સ્ટેન્ડ ટુ રખાયા છે. પોલીસે વિરોધ પ્રદર્શિત કરવા આવેલ ઉમેદવારો ઉપર લાઠી ચાર્જ કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. અહીં એકઠા થયેલા યુવાનો કોઈ ગુનેગારો ન હતા પરંતુ પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે થઈ રહેલા પોલીસ વર્તન મામલે પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
4000થી 5000 ઉમેદવારો વિરોધ કરવા પહોંચ્યા
50થી વધુની પોલીસે અટકાયત કરી
શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોની કેમ કરી અટકાયત?
બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં 50થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. ઉમેદવારો કોઈપણ પ્રકારનો વિરોધ કરે તે પહેલાં જ અટકાયત કરી દેવામાં આવી હતી. અટકાયત બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા છે. જો કે 4000થી 5000 ઉમેદવારો વિરોધ પ્રદર્શન માટે ગાંધીનગર પહોંચ્યા હતા.
બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે ઉમેદવારો દેખાવ કરવાના હતા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર સજ્જડ સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉમેદવારો કોઈ પણ પ્રકારનો વિરોધ કરે તો તેમની તુરંત જ ધરપકડ કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.
સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપને બિન સચિવાલય ઉમેદવારોના વિરોધને લઇ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર 700 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. અને ઉમેદવારો દેખાતા જ તેમને ડિટેઇન કરવા આદેશ આપી દેવાયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ઉમેદવારોને ડિટેઇન કરવાના આદેશ આપ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે ઉમેદવારોને કોઇ પણ પ્રકારની મંજૂરી નથી મળી.
ઉમેદવારોએ આંદોલનની આપી હતી ચિમકી
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિને મામલે રાજ્યભરના ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને આ મામલે ઉમેદવારોએ આંદોલન કરવાની અને વિરોધ કરવાની ચિમકી આપી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ધસી આવવાની ભીતિને પગલે પહેલેથી જ તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ
ગાંધીનગરમાં સત્યાગ્રહ ઠાવણી પાસે 4000થી 5000 વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચવાના હતા. ત્યારે પોલીસ પહેલેથી તેમની અટકાયત કરી આંદોલનના તોડી પાડવાની વ્યૂહરચના રચી કાઢી હતી.