આણંદના સોજિત્રા નજીક થયેલા અકસ્માત ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ સામે ગુન્હો નોંધાયો હતો.આ કેસમાં કેતન પઢિયારની અટકાયત કરાઇ છે.
MLA પૂનમ પરમારના જમાઇની અટકાયત
સોજીત્રાના ડાલી નજીક અકસ્માત મામલે કરાઇ અટકાયત
નશાની હાલતમાં કાર ચલાવી કર્યો હતો અકસ્માત
રક્ષાબંધનના દિવસે આણંદના સોજિત્રાના ડાલી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોતથી અરેરાટી મચી ગઇ હતી. કાર, બાઈક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં પોલીસની તપાસમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ પર નશાની હાલતમાં ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. આથી જેતે સમય તેની સામે ગુન્હો નોંધાયો હતો. ત્યારબાદ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
6 લોકોના ઘટનાસ્થેળ જ થયા હતા કરુણ મોત
રક્ષાબંધનના દિવસે આણંદમાં સર્જાયેલી ગોઝારી ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સોજીત્રાના ડાલી ગામ પાસેની કરુણાંતિકાને લઇને માર્ગ રક્તરંજીત બન્યો હતો.જેમાં કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થેળ જ કરુણ મોત નિપજ્યાં હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના હોવાનું સામે આવતા પરિવાર શોકની કાલિમા ધકેલાયો હતો. મહત્વનું છે કે કારચાલક MLA પૂનમચંદ પરમારના જમાઇ હોવાનું સામે આવ્યું હતું. MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું હતું. મહત્વનું છે કે ધારાસભ્યના જમાઇને અકસ્માતમાં ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે કેતન પઢિયાર સામે માનવવધ કલમ 304 હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.