સર્વેમાં ઓછી બેઠકો છતાં કેજરીવાલને ગુજરાત જીતનો વિશ્વાસ
અમે દિલ્હીમાં જીત્યા ત્યારે સર્વેમાં અમને એક પણ સીટ મળી ન હતી: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, નવી પાર્ટી માટે સર્વેમાં બેઠકોનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે અમે દિલ્હીમાં જીત્યા ત્યારે સર્વેમાં અમને એક પણ સીટ મળી ન હતી.
અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે, ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરતી વખતે તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં કહ્યું હતું કે. તેઓ તમારા નવા સીએમ છે. આ પ્રશ્નનો જવાબ આપતાં દિલ્હીના સીએમએ કહ્યું કે, ગુજરાતમાં જે રીતે વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ધીમે ધીમે બધાને એવું લાગવા લાગ્યું છે કે, ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ નવો રાજકીય પક્ષ આવે છે, ત્યારે સમસ્યા થાય છે. સર્વેમાં તેમના વોટ શેર અને સીટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે તમે જોયું જ હશે કે, જ્યારે દિલ્હીમાં પહેલીવાર અમારી સરકાર બની ત્યારે અમને એકપણ સર્વેમાં એક પણ સીટ મળી ન હતી. સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ સિવાય બાકીના બધાની ડિપોઝીટ પણ જપ્ત થશે, પરંતુ અમને 28 સીટો મળી અને અમે સરકાર બનાવી. એ જ રીતે, જ્યારે બીજી ચૂંટણીમાં અમે 67 બેઠકો જીતી હતી, ત્યારે પણ સર્વેમાં ઘણી બેઠકો આપવામાં આવી ન હતી.
અરવિંદ કેજરીવાલે કહું હતું કે, મહત્વની વાત છે કે આગામી ચૂંટણીમાં કેટલીક સીટો આપવામાં આવી રહી છે, પરંતુ સરકાર દેખાડવામાં આવી રહી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં ટ્રેન્ડ જોવા મળ્યો હશે કે આમ આદમી પાર્ટી વધી રહી છે અને કોંગ્રેસ-ભાજપ પતન કરી રહી છે.
મહત્વનું છે કે, ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. આ માટે કેજરીવાલે ગુજરાતની જનતા પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 29 ઓક્ટોબરથી તેમણે ગુજરાતની જનતા પાસેથી જે અભિપ્રાય માંગ્યો હતો તેમાં 16 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય મોકલ્યો છે અને તેના આધારે અમે ઈસોદાન ગઢવીને સીએમ ચહેરા તરીકે જાહેર કરી રહ્યા છીએ.