રાજકીય ઇતિહાસ ઉપર નજર કરીએ તો આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે તેમની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધી ક્યારેય વિજયનો સ્વાદ ચાખ્યો નથી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર રાજકીય સટ્ટો ખેલ્યો
એક જ બેઠક પર પાંચ વખત હાર્યા છતાં કોંગ્રેસે ફરી આપી ટિકિટ
કોંગ્રેસે મોરબી વિધાનસભા સીટ ઉપર જયંતી પટેલને આપી છે ટિકિટ
જયંતિ પટેલે તેમની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધી ક્યારેય વિજયનો સ્વાદ ચાખ્યો નથી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના તમામ પક્ષો તનતોડ મહેનતમાં લાગ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે મોરબી વિધાનસભા સીટ ઉપર જયંતી પટેલને ટિકિટ આપી છે. તો સામે ભાજપે કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે. જોકે અહી નોંધનીય બાબત એ છે કે, કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ છેલ્લા ત્રણ દાયકામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ વખત આ બેઠક હારી ચૂક્યા છે. આમ છતાં આ વર્ષે કોંગ્રેસે મોરબી બેઠક પર તેમણે ટિકિટ આપી છે. જોકે મોરબીના કેબલ બ્રિજ અકસ્માત દરમિયાન લોકોને બચાવવા માટે અમૃતિયાએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હોવાથી ભાજપ તેને હીરો તરીકે રજૂ કરી રહ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતની આશા
મોરબી વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસે જયંતી પટેલને ટિકિટ આપી છે. રાજકીય ઇતિહાસ ઉપર નજર કરીએ તો 66 વર્ષીય જયંતિ પટેલે તેમની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધી ક્યારેય વિજયનો સ્વાદ ચાખ્યો નથી. તેમની રાજનીતિની કારકિર્દી વર્ષ 1990માં શરૂ થઈ હતી. તેમણે 1998, 2002, 2007માં ચૂંટણી લડી હતી અને તાજેતરમાં જ તેઓ 2020ની પેટાચૂંટણીમાં બ્રિજેશ મેરજા સામે હારી ગયા હતા. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ વખતે મેરજા મેદાનમાં નથી. પટેલ હવે જીત તરફ મંડ્યા છે અને આશા છે કે નારાજ સ્થાનિકો પરિવર્તન માટે મત આપશે.
શું કહ્યું કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલે ?
કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલે જણાવ્યું હતું કે, લોકો ભાજપના હઠીલા વલણથી નારાજ છે. તેમણે જણાવ્યું કે, મોરબી નગરપાલિકા દ્વારા હજુ સુધી મૃતકો માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું નથી. અહીંની જનતાની ભાવનાઓને માન આપીને અમે કોઈ રેલીનું આયોજન કર્યું નથી. અમે ચુપચાપ મતદારો વચ્ચે ફરતા રહીએ છીએ, તેમની ખબર-અંતર પૂછીએ છીએ.
મોરબીમાં ભાજપને પણ જીતનો વિશ્વાસ
મોરબીના કેબલ બ્રિજ અકસ્માત દરમિયાન લોકોને બચાવવા માટે અમૃતિયાએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હોવાથી ભાજપ તેને હીરો તરીકે રજૂ કરી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબીમાં પૂર દરમિયાન 1970ના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમણે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
મહત્વનુ છે કે, કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન આરએસએસમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી. કાંતિભાઈ પ્રથમ વખત 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે.
જયંતી પટેલની જેમ બીજા બે ઉમેદવારો
જયંતી પટેલની જેમ વધુ બે ઉમેદવારો એવા છે કે જેમણે ચૂંટણીમાં વારંવારની હારને પોતાના જુસ્સાને ઠરવા નાથ દીધો. 68 વર્ષીય ભીખુસિંહ પરમારે એકપણ જીત વિના ચાર ચૂંટણી લડી છે અને પાંચમી વખત નસીબ અજમાવી રહ્યા છે. તેમણે સૌપ્રથમ 1995માં મોડાસા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને 13,041 મત મેળવ્યા હતા, જે બીજેપી અને બીએસપીના ઉમેદવારો પાછળ ત્રીજા ક્રમે હતા. 2002 માં તેઓ ફરીથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને 17,596 મતો સાથે ત્રીજા સ્થાને આવ્યા. 2007 માં, તેમણે BSP ઉમેદવાર તરીકે તેમની ત્રીજી ચૂંટણી લડી. પરંતુ તેમને માત્ર 7,696 વોટ મળ્યા. 2017 માં, તેમણે મોડાસાથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ મેળવી અને સખત લડત આપી, 1,640 મતોથી હાર્યા. તેમને આ વખતે ફરી એકવાર ભાજપની ટિકિટ મળી છે. તેઓ કહે છે કે, હું પાટીદાર અને ઠાકોર સેનાના આંદોલનને કારણે 2017ની ચૂંટણી બહુ ઓછા માર્જિનથી હારી ગયો હતો. આ વખતે એવું કંઈ નથી અને મને ખાતરી છે કે હું જ જીતીશ.
આ સાથે સમુરાઇ જીતેન્દ્ર સોમાણી ચાર વખત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવા છતાં આ વખતે તેમની પ્રથમ ચૂંટણી જીતવા માટે ઉત્સુક છે. તેઓ વાંકાનેર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેઓ પ્રથમ વખત 1995માં અપક્ષ તરીકે બેઠક લડ્યા હતા અને INCના ખુર્શીદ પીરઝાદા સામે 1,383 મતોથી હારી ગયા હતા. ત્યારપછીની ચૂંટણીઓમાં ભાજપે તેમની પત્ની જ્યોત્સના સોમાણીને મેદાનમાં ઉતાર્યા જેમણે 2002માં જીત મેળવી. પરંતુ 2007માં હારી ગયા. જીતેન્દ્ર સોમાણી ફરી 2012 અને 2017માં ચૂંટણી લડ્યા હતા. પરંતુ વિજયનો સ્વાદ ચાખ્યો ન હતો.