દિલ્હી અને મુંબઈમાં કેટલાક દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યાં હોવા છતાં પણ તેમના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યાં છે.
દિલ્હી અને મુંબઈમાં ગંભીર લક્ષણો હોવા છતાં દર્દીઓના ટેસ્ટ નેગેટિવ
કોરોનાનું નવું સ્વરુપ ફેલાયું હોવાની આશંકા
કોરોના 3 નવા લક્ષણો પણ સામે આવ્યાં
દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરમાં ઉલટી ગંગા જેવો એક ઘાટ થયો છે. મુંબઈમાં સંખ્યાબંધ એવી ઘટનાઓ બની રહી છે કે જેમાં કોરોનાના ગંભીર લક્ષણો હોવા છતાં પણ તેમના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યાં છે.
ગંભીર લક્ષણો હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવવા પાછળના મુખ્ય કારણોમાં અપૂરતા સ્વેબ સેમ્પલ લેવા, પહેલા લક્ષણો બાદ ટેસ્ટિંગમાં વિલંબ અને કોરોનાની રીતને બદલી નાખનાર વેરિએન્ટસ હોઈ શકે.
ભાયખલાની સરકારી જેજે હોસ્પિટલના ડોક્ટર પ્રતિત સમધાણીએ જણાવ્યું કે કેટલાક દર્દીઓમાં તાવ, કફ,ખાંસી અને શરીરમાં દુખાવા જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યાં હોવા છતાં પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યાં છે. પહેલા લક્ષણો જોવા મળ્યા બાદ ત્રીજાથી માંડીને સાતમા દિવસ સુધી કોરોનાનો ટેસ્ટ ન કરવામાં આવે તો ખોટો નેગેટિવ ટેસ્ટ આવવાની પૂરી સંભાવના છે.
કોરોનાના નવા 3 લક્ષણો સામે આવ્યાં
આંખ ગુલાબી રંગની થવી- આંખો આવવી અથવા તો આંખો ગુલાબી રંગની થવી પણ કોરોનાનું નવું લક્ષણ ગણવામાં આવ્યું છે. ગુલાબી આંખમાં લોકોને આંખમાં લાલાશ, સોજો વગેરે જેવા લક્ષણો દેખાય છે.
ઓછું સંભળાવું- જો તમને છેલ્લા થોડા દિવસોમાં ઓછું સંભળાતું હોય અથવા તો કાનમાં અવાજ સંભળાતો હોય તો તે પણ કોવિડ-19 નું લક્ષણ હોઈ શકે છે.
ગેસ્ટ્રો લક્ષણો- ઘણા ગેસ્ટ્રો લક્ષણો કોવિડ-19 ના લક્ષણો હોવાનું પણ સંશોધકોએ જણાવ્યું છે. કોવિડ-19 નો ચેપ ઉપરના શ્વસનતંત્રને અસર કરે છે. નવા સ્ટડી અનુસાર, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, નોસિયા, તથા સોજો કોરોનાના લક્ષણો છે. જો તમને પેટમાં ગરબડ લાગતી હોય તો તમારે ટેસ્ટ કરાવી લેવો હિતકારક છે.