કોરોના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક દેવાનું શરૂ કર્યું છે જેના કારણે અત્યાર સુધીમાં ભારતમાં 29 કેસ સામે આવ્યા છે. હવે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઈરડાએ વીમા કંપનીઓને એવી પોલિસી ડિઝાઈન તૈયાર કરવા કહ્યું છે જેમાં કોરોના વાયરસની સારવારનો ખર્ચ પણ કવર થાય. એટલે કે હવે વીમા કવરમાં કોરોનાને સામેલ કરવા માટે સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસનો કહેર
IRDAએ કરી નવી જાહેરાત
વીમા કવરમાં કોરોનાને કરાશે કવર
વીમા કવરમાં કોરોનાને સમાવવાનો વિશ્વનો આ પ્રથમ પ્રસ્તાવ છે. કોરોનાના ચેપને કારણે વિશ્વભરમાં 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને તેનાથી 90 હજારથી વધુ લોકો બીમાર થયા છે. IRDA ની જાહેરાત અનુસાર સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાતને પૂરી કરવાના હેતુથી આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં કંપનીઓને આદેશ અપાયો છે કે એવી પોલિસી ડિઝાઈન કરો જેમાં કોરોનાની સારવારનો ખર્ચ પણ સમાવી શકાય. આ ખર્ચમાં હોસ્પિટલમાં એડમિટ થવાનો ખર્ચ કવર કરાશે. વીમા કંપનીઓએ આ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.
IRDA સર્ક્યુલરમાં જણાવાઈ છે આ વાત
કોવિડ 19માં આવનારા તમામ દાવાની સારવાર માટે પહેલાં રિવ્યૂ કમિટી સમીક્ષા કરશે. દેશભરમાં 21 એરપોર્ટ પર 6 લાખથી વધારે લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવી ચૂક્યા છે. નેપાળ, ભૂટાન અને મ્યાનમારની સીમા પર 10 લાખથી વધારે સ્ક્રીનિંગ થાય છે.
વીમા કંપનીઓ પણ બતાવી રહી છે તૈયારી
IRDAના પરિપત્ર પર એસબીઆઈ જનરલ ઇન્સ્યુરન્સના વડા સુબ્રમણ્યમ બીએ જણાવ્યું હતું કે દર્દીને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે કોરોના વાયરસના દાવાની પતાવટ થઈ શકે છે. તેમણે કહ્યું, 'મોટાભાગની સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં એવા દર્દીઓ આવરી લેવામાં આવતાં નથી કે જેઓ હોસ્પિટલમાં ન હોય. જો કોરોનાને ભારત સરકાર અથવા ડબ્લ્યુએચઓ દ્વારા રોગચાળો જાહેર કરવામાં આવે છે, તો તે વીમા રકમ મેળવશે નહીં કારણ કે આવા રોગો આરોગ્ય વીમા પોલિસી દ્વારા આવરી લેવામાં આવતા નથી.
વીમા કંપનીએ કોઈ ખાસ નિયમો હાલ સુધી તૈયાર કર્યા નથી
બીજી એક વીમા કંપની મેક્સ બૂપા હેલ્થ ઇન્સ્યુરન્સે પણ કોરોનાને વીમા કવચ હેઠળ લાવવા માટેની તૈયારી બતાવી છે. તેમણે કહ્યું કે જો કોરોના વાયરસને કારણે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તો તે આપણી હોસ્પિટલમાં દાખલ કરવાની નીતિ હેઠળ વીમાની રકમ મેળવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપની ટૂંક સમયમાં વીમા દાવાની પતાવટ કરશે. જો કે, વીમા કંપનીઓએ તેવું કહ્યું નથી કે જો દર્દીને અલગ કેન્દ્રમાં મૂકવામાં આવે તો તેઓને વીમો મળશે કે નહીં.