ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણા મંત્રીશ્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે આયોજીત રાજ્યના નાણા મંત્રીશ્રીઓની બેઠકમાં ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સહભાગી બનીને રાજ્યની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બને તે માટે ધારદાર રજૂઆતો કરી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2019
દારુબંધીથી રાજ્યને થઇ રહ્યું છે નુકસાન
ઉલ્લેખનીય છે કે, તેમણે ગુજરાતની દારુબંધીને લઇને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, દારૂબંધીથી ગુજરાતને એક્સાઇઝ ડ્યુટીમાં નુકસાન થઇ રહ્યું છે, આ સાથે જ અન્ય રાજ્યોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં દારુબંધી નથી તેવા રાજ્યોને મોટા પાયે આવક થઇ રહી છે. દારૂબંધીથી આવકમાં નુકસાનની ભરપાઇ કરવા માટેની પણ તેમણે રજૂઆત કરી હતી.
પાક વીમો ફરજીયાત ના કરવા કરી રજૂઆત
VTV પર સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પાક વીમા મુદ્દે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. પાક વીમો ફરજીયાત ના કરવા નીતિન પટેલે રજૂઆત કરી હતી. પાક વીમો મરજીયાત બનાવવા માટે કેન્દ્ર સમક્ષ માગ કરી હતી.
નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને સરળતા માટે પાક વીમો મરજીયાત બનાવવો જોઇએ. પાક વીમો લેવા માગતા હોય તેવા ખેડૂતોને જ વીમો આપવો જોઇએ. હાલ ધીરાણ સમયે પાક વીમો જ કાપી લેવામાં આવે છે. ત્યારે દિલ્લીમાં નાણામંત્રાલયની બેઠકમાં નીતિન પટેલે આ મામલે રજૂઆત કરીને પાકવીમાને મરજીયાત કરવાની માગ કરી છે.
'નલ સે જલ' યોજના હેઠળ વધુ ગ્રાન્ટ ફાળવવા અનુરોધ
ગુજરાત રાજ્યના નાણા મંત્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે દિલ્હી ખાતે આયોજીત આ બેઠકમાં ગુજરાતના નાગરિકો વતી વધુ સૂચનો કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના બધા નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું વિસ્તૃત માળખું ઉપલબ્ધ છે.
આ સાથે જ મોટા પમ્પીંગ સ્ટેશનો પણ કાર્યરત છે તેના સંચાલન-જાળવણી અને વિજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની 'નલ સે જલ' યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ કારણકે ગુજરાત રાજ્ય અગાઉથી જ પોતાના બજેટમાંથી ૭૮% ઘરો સુધી શુધ્ધ પીવાના પાણીની સુવિધા પુરૂ પાડી રહ્યું છે.