રાજકોટની ભરાડ સ્કૂલમાં ગણિતના પેપરમાં સુપર વાઈઝરે પુરવણી ન આપ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યા બાદ DEOનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની વ્યથા બોર્ડને પહોંચાડીશું.
ભરાડ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં છબરડા!
DEOએ ઝોનલ અધિકારી સહિતનો ખુલાસો પૂછ્યો
વિદ્યાર્થીઓની વ્યથા બોર્ડને પહોંચાડીશું: DEO
રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષામાં ગઈકાલે ગણિતનું પેપર લેવાયું હતું. ત્યારે આજે બીજા પેપરમાં રાજકોટની ભરાડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી મોડી પહોંચતા હોબાળો મચ્યો હતો. રાજકોટની સ્કૂલમાં પરીક્ષામાં પુરવણી લેટ પહોંચવા મામલે DEOનું નિવેદન સામે આવ્યું છે. DEOએ ઝોનલ અધિકારી પાસે ખુલાસો માંગ્યો છે. DEOએ જણાવ્યું છે કે, બોર્ડને વિદ્યાર્થીઓની વ્યથા રિપોર્ટથી પહોંચાડીશું.
રોષે ભરાયેલા વાલીઓ પહોંચ્યા હતા સ્કૂલ ખાતે
રાજકોટમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. ભરાડ સ્કૂલમા ગઈકાલે ધોરણ 10નું ગણિતનું પેપર લેવાય રહ્યું હતું. આ સમયે સપ્લીમેન્ટરી ખુંટી પડતા વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ મામલે આક્રોશ સાથે વાલીઓ પણ ભરાડ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ગણિતના પેપર બાકી રહી ગયું છે. સપલી 15થી 20 મિનિટ મોડી પહોંચતા 25 જેટલા વિદ્યાર્થીઓને પેપર રહી ગયું. રોષે ભરાયેલા વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે વાલીઓના રોષને પગલે પોલીસ પણ ભરાડ સ્કૂલ ખાતે પહોંચી હતી.
વાલીઓએ આક્રોશ સાથે કરી હતી ઉગ્ર રજૂઆત
વાલીઓ ત્યાંથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અહીંયા આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ મીડિયા સામે વાલીઓ રડી પાડ્યા હતા. આ મામલે કંટ્રોલરૂમના સુપરવાઇઝર એ જણાવ્યું હતું કે, તેઓએ આ સમગ્ર બાબતે ગાંધીનગર રજૂઆત કરી છે અને આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી પણ થશે.
5થી 10 માર્કનું લખવાનું રહી ગયું: વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને પુરતી પુરવણી ન અપાતા 5થી10 માર્કનો પેપર છૂટી ગયાનો આક્ષેપ કરાયો હતો. તેમજ ગણિતના પેપરમાં વિદ્યાર્થીનો પુરતી પુરવણી ન અપાતા માર્કસ ઓછા આવવાની ચિંતા સતાવી રહી છે. જે સમગ્ર મામલાને લઈ વાલીઓ જણાવી રહ્યાં છે કે, ભરાડ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે કેન્સલ કરો અથવા તમામ સુપરવાઈઝર સહિતના સ્ટાફને બદલવામાં આવે.
જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
રાજકોટમાં ધોરણ 10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી પહોંચવાનો કે મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ઝોનલ ઓફિસર અને સ્થળ સંચાલકનો શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો પુછવામાં આવશે. તેમજ ખરેખર કેટલા વિધાર્થીઓને સપ્લિમેન્ટરી મોડી પહોંચી છે તે દિશામાં તપાસ હાથ ધરાશે. તમામ તપાસ બાદ શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરાશે અને રિપોર્ટના આધારે વિધાર્થીઓને અન્યાય ન થાય તે માટેની વિનંતી પણ કરાશે.