નોટબંધીનાં અનેક વખત વિરોધ વચ્ચે 6 વર્ષ બાદ નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યુ છે અને આ મામલે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે.જેના પર દેશની મીટ મંડાયેલી છે.
સરકાર દ્વારા કરાયેલી નોટબંધી મામલો
સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સોમવારે ચુકાદો
પાંચ જજોની બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે
સરકાર દ્વારા 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની ચલણી નોટોની માન્યતા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારના આ નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સોમવારે ચુકાદો સંભળાવશે. જસ્ટિસ એસ એ નઝીરની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચ 2 જાન્યુઆરીએ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા સેવાઇ રહી છે. સુપ્રીમ કોર્ટની સોમવારની કારણ સૂચિ અનુસાર, આ મામલે બે અલગ-અલગ ચુકાદાઓ અપશે. જે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બી વી નાગરત્ન દ્વારા સંભળાવવામાં આવશે.
કોર્ટે અગાઉ સાંભળી હતી દલીલો
સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને નિર્દેશ કર્યો હતો કે સરકારના 2016ના નિર્ણયને લગતા રેકોર્ડ પર પોતાનો નિર્ણય અનામત રાખવો. વધુમાં તેણે એટર્ની જનરલ આર વેંકટરામણી, આરબીઆઈના વકીલ અને વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમ અને અરજદારોના વકીલ શ્યામ દિવાનની દલીલો સાંભળી હતી. તે દરમિયાન રૂ. 500 અને રૂ. 1,000ની ચલણી નોટોના નિર્ણયને ગંભીર ખામીયુક્ત ગણાવતા ચિદમ્બરમે દલીલ કરી હતી કે સરકાર કાનૂની ટેન્ડરને લગતો કોઈ ઠરાવ પોતાની રીતે કરી શકતી નથી, જે ફક્ત આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની મંજૂરીને આધીન છે.
આવા મામલે કોર્ટ નિર્ણય કરી શકતી નથી: સરકાર
2016ની નોટબંધી પર ફરીથી વિચાર કરવાના કોર્ટના પ્રયાસનો વિરોધ કરતાં, સરકારે કહ્યું હતું કે કોર્ટ આવા મુદ્દા પર નિર્ણય લઈ શકે નહીં. એફિડેવિટમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે નોટબંધીની કવાયત એ એક-શૉટ નિર્ણય હતો અને કાળું નાણાં, આતંકવાદને ધિરાણ, કરચોરી જેવા દુષણને ડામવા માટેની રણનીતિનો ભાગ હતો. મહત્વનું છે કે 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.