અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ સત્તાવાળાઓ ગઇકાલે સવારે 2 જેસીબી મશીન, દબાણની ગાડીઓ, સંખ્યાબંધ મજૂરો તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો લોખંડી બંદોબસ્ત લઇને બોડકદેવના સિંધુ ભવન રોડ પરના મેલડી માતાના 120 વર્ષ જૂના મંદિરને તોડવા પહોંચી ગયા હતા. જોકે માતાજી પ્રત્યેના ભાવિક ભક્તોના અનન્ય ભક્તિભાવના કારણે તંત્રની કામગીરી સામે શહેરભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. છેવટે બહુમતી સમાજની શ્રદ્ધા અને ભક્તિની જીત થઇ છે એટલે હવે સત્તાધીશો અન્ય વૈકલ્પિક જગ્યા મંદિર માટે જ્યાં સુધી નહીં ફાળવે ત્યાં સુધી મંદિર તેના મૂળ સ્થાને જળવાઇ રહેશે.
વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી મંદિર મૂળ સ્થાને જ જળવાઈ રહેશે
જોકે અન્ય ધાર્મિક સ્થળોનાં દબાણના મામલે તંત્રનું મૌન
સમગ્ર અમદાવાદમાં રોડ કે ફૂટપાથ પર વિવિધ ધર્મનાં અલગ અલગ પ્રકારનાં સ્થાનકની નવાઈ નથી. કેટલીક વાર તો આવાં ધર્મસ્થાનક રાતોરાત ઊભાં થઇ જાય છે, તેમાં ઘણી વખત શ્રદ્ધાળુઓની લાગણી સાથે ચેડાં કરીને ધર્મ કે મજહબની દુકાન ધમધમતી કરવાનો પણ લેભાગુ તત્ત્વોનો આશય હોય છે. આવા મલિન ઇરાદા ધરાવતાં તત્ત્વોને તંત્ર સારી પેઠે ઓળખતું હોવા છતાં તેના તરફ આંખ આડા કાન કરાતા હોઇ ત્યાં રોડ કે ફૂટપાથને કશું નડતરરૂપ લાગતું નથી, પરંતુ બોડકદેવમાં નડે છે તેમ સ્થાનિકોનું રોષભેર કહેવું છે. એ જે હોય તે, પરંતુ લોકોના ઉગ્ર આક્રોશથી ડઘાયેલા સત્તાવાળાઓને ગઇ કાલે જ ઝૂકવાની ફરજ પડી હતી.
હવે એસ્ટેટ વિભાગ દ્વારા મંદિરના આગળના ભાગે આવેલા ફાઇનલ પ્લોટમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની સંમતિ દર્શાવાઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી પરેશ પટેલને આ અંગે પૂછતાં તેઓ કહે છે રોડની બહારના ભાગમાં મંદિર માટે વૈકલ્પિક જગ્યા અપાશે. હાલ મંદિરને તેના મૂળ સ્વરૂપે જાળવી રખાયું છે.
રોડને નડતરરૂપ હોઇ માતાજીના મંદિરને સાત દિવસમાં હટાવી લેવું તેવી નોટિસ આપીને બહુમતી સમાજનો રોષ વહોરી લેનાર મ્યુનિસિપલ કોર્પોરેશને આ નોટિસ ક્યારે આપી તે તારીખની ખબર નથી, જોકે તંત્રનું કહેવું છે કે સમગ્ર ઝોનમાં આ મંદિરને જ આવી નોટિસ ફટકારાઇ હતી. રોડ-ફૂટપાથને નડતરરૂપ તમામ ધાર્મિક સ્થળના સર્વે કરવા અંગેના એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં તંત્ર ભેદી મૌન પાળે છે.